Editor's Exclusive

ડભોઇના બહુચર્ચિત એટ્રોસિટી કેસના “સમાધાનની સત્યતા” જાણવી છે ?, આ રહી કેટલીક અંદરની વાત!

Published

on

  • ફરિયાદી પોતે હોસ્ટાઈલ થઇ ગયા હોય,કેસમાં સમાધાન કરાવ્યું હોવાની વાત પર પ્રશ્નાર્થ
  • PMO સુધી પીડિત પરિવારે કરેલા સંપર્ક બાદ કેસમાં આવ્યો વળાંક?
  • ચર્ચાસ્પદ થયેલા એટ્રોસિટીના કેસમાં તમામ આરોપીઓને SP ઓફિસથી જામીન કેમ આપવા પડ્યા ?
  • કુલ 7 આરોપીઓ માંથી એક જ આરોપી SPGના પત્રકાર પરિષદમાં હાજર,અન્ય એક પટેલ આરોપીનું સ્ટેન્ડ શું ?

(મૌલિક પટેલ-એડિટર) ગત 15 એપ્રિલે ડભોઇના તાલુકા પંચાયત કચેરીમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પરત ખેંચાવવા બાબતે થયેલી થયેલી મારામારીમાં ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષના કાર્યકરોએ એકબીજા પર છુટ્ટા હાથની મારામારી કરી હતી. જે ઘટનામાં ખરેખર તો બંને પક્ષે રાયોટીંગ કાંતો મારામારીની ફરિયાદ નોંધાવી જોઈએ તેના બદલે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં કોંગ્રેસ પક્ષ સાથે સંકળયેલા 7 અગ્રણીઓને આરોપી બનાવવામાં આવ્યા હતા. જેમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટ અને થુવાવી જીલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર રાકેશ પટેલ સહીત સાત વ્યક્તિઓ સામે એટ્રોસિટીની ફરિયાદ થઇ હતી.

સમગ્ર ચુંટણી દરમિયાન પોલીસ ધરપકડના બીકે સાતેય આરોપીઓ પોલીસ પકડથી દુર રહ્યા હતા. જેમાં થુવાવી જીલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર રાકેશ પટેલ પોતે ચુંટણી પ્રચાર દરમિયાન વોન્ટેડ રહેતા તેમની ગેરહાજરીમાં ચુંટણી પ્રચાર થયો હતો. જ્યાં ભાજપના ઉમેદવાર ભાવેશ પટેલ માત્ર 480 મતે વિજેતા થયા હતા.

🧐ફરિયાદી પોતે હોસ્ટાઈલ થઇ ગયા હોય,કેસમાં સમાધાન કરાવ્યું હોવાની વાત પર પ્રશ્નાર્થ
મારામારી કેસમાં દાખલ થયેલી એટ્રોસિટીની ફરિયાદમાં ફરિયાદી તરીકે રજુ થયેલા મુળજીભાઈ સોમાભાઈ વસાવા પોતે હોસ્ટાઈલ થઇ ગયા હોવાની વાત સામે આવી છે. ગત શુક્રવારથી સંપર્ક વિહોણા થયેલા ફરિયાદીએ હાઈકોર્ટ સમક્ષ ખોટી એટ્રોસિટી દાખલ કરાવી હોવાનું એફીડેવીટ પણ આપી દીધું હોવાનું રાજકીય વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે. આ ફરિયાદ કોના ઇશારે અને કોના કહેવાથી આપી હતી. અને તેઓ પોતે ઘટનાસ્થળે હાજર ન હોવા છતાંય પાછળથી બોલાવીને ફરીયાદ નોંધાવવા માટે કહેવામાં આવ્યું હોવાનો પણ ઉલ્લેખ એફિડેવિટમાં કરવામાં આવ્યો છે. જે એફિડેવિટથી આમ પણ કેસ લૂલો થઇ જાય છે. જેથી હાલના સમયમાં સમાધાન થયું હોવાની વાતને સમર્થન આ કેસના આરોપીઓ દ્વારા આપવામાં આવ્યું નથી.

PMO સુધી પીડિત પરિવારે કરેલા સંપર્ક બાદ કેસમાં આવ્યો વળાંક?
કથિત એટ્રોસિટીની ફરિયાદમાં આરોપી તરીકે શામેલ એક આરોપીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે સમયે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં પ્રચારક તરીકે વડોદરા જીલ્લામાં પ્રવાસ કરતા હતા ત્યારે સાઠોદ ગામમાં તેઓના મજબુત સંપર્ક હતા. સાઠોદમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલા વડીલો આજે પણ દિલ્હી સુધી સંપર્ક કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે. મારામારીની ઘટનામાં એટ્રોસિટી દાખલ થયાની ઘટનામાં આરોપી બનેલા પીડિતના પરિવારોએ દિલ્હી PMO સુધી સંપર્ક કરીને મળવા માટે સમય માંગ્યો હતો. જ્યાં PMO દ્વારા સમગ્ર ઘટનાની માહિતી રાજ્ય કક્ષાએથી માંગીને આ વિષયને તાત્કાલિક ઉકેલવા માટે સ્થાનિક તંત્રને સુચના આપવામાં આવી હતી. આ અરસામાં જીલ્લાના કેટલાક પોલીસ અધિકારી આ કેસના આરોપીઓની ઘરે જઈને “હાજર થઈ જાઓ તો કેસ પતિ જશે!” તેવું આશ્વાસન આપતા હતા. જ્યાં એક “ખાસ શાખાએ” આપેલી બાહેંધરી બાદ સાતેય આરોપીઓ પોલીસ સમક્ષ હાજર રહ્યા હતા.

🗣️ચર્ચાસ્પદ થયેલા એટ્રોસિટીના કેસમાં તમામ આરોપીઓને SP ઓફિસથી જામીન કેમ આપવા પડ્યા ?
આ એટ્રોસિટી કેસમાં 7 આરોપીઓ(2 પાટીદાર અને 5 બ્રહ્મભટ્ટ-બારોટ) 21 દિવસ સુધી વોન્ટેડ રહ્યા, સાતેય આરોપીઓને કેસમાં જામીન લેવા માટે સ્થાનિક પોલીસ મથક અને સ્થાનિક DYSP સમક્ષ હાજર થવાનું હતું. જોકે આ કેસમાં આરોપી તરીકે નોંધાયેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, અંતિમ સમયે જામીન લેવાનું સ્થળ બદલી નાખીને જીલ્લા પોલીસ વડાની ઓફિસે કરવામાં આવ્યું હતું. જ્યાં શુક્રવારે સાંજે 4 કલાકે આ કેસના તમામ આરોપીઓ જામીન લેવા પહોચ્યા હતા. કેસની ગંભીરતા જોઇને જીલ્લા પોલીસ વડાએ વ્યક્તિગત રીતે ધ્યાન રાખીને તમામને જામીન પર મુક્ત કર્યા હતા.

🫵કુલ 7 આરોપીઓ માંથી એક જ આરોપી SPGના પત્રકાર પરિષદમાં હાજર,અન્ય એક પટેલ આરોપીનું સ્ટેન્ડ શું ?
આજે શ્રી સરદાર પટેલ સેવા સમિતિ (SPG) દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં ડભોઈના બહુચર્ચિત એટ્રોસિટી કેસનો સુખદ અંત આવ્યો હોવાની વાત રજુ કરવામાં આવી હતી. થુવાવી જીલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રાકેશ પટેલ પર પણ આ ફરિયાદ થઇ હતી. જેઓ પોતે આ પત્રકાર પરિષદમાં હાજર હતા. સાથે ભાજપના જીતેલા ઉમેદવાર ભાવેશ પટેલ પણ એકમંચ પર જોવા મળ્યા હતા. જ્યાં SPGના જીલ્લા પ્રમુખે આ કેસમાં સમાધાન થઇ ગયું હોવાની વાત રજુ કરી હતી. પરંતુ સમગ્ર પત્રકાર પરિષદમાં એટ્રોસિટી કેસના ફરિયાદી કે પછી તેમના દ્વારા સમાધાન માટે કરેલું સોગંધનામું રજુ કરવામાં આવ્યું ન હતું. કેસના 2 પટેલ આરોપીઓ રાકેશ પટેલ અને દિલીપભાઈ પટેલ માંથી ફક્ત રાકેશ પટેલ હાજર જોવા મળ્યા હતા. જયારે SPGના સાનિધ્યમાં યોજાયેલી આ પત્રકાર પરિષદમાં દિલીપભાઈ પટેલની ગેરહાજરી જોતા તેમનો સંપર્ક કરતા તેઓએ આવા કોઈ પણ સમાધાનને સમર્થન આપ્યું ન હતું. તેઓએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, “અમે પટેલ સમાજ અને ખાસ કરીને SPGના આભારી છે કે તેઓએ અમારી માટે લડત લડી છે. પરંતુ ખોટા કેસમાં ફસાવી દઈને 21 દિવસ સુધી ઘર પરિવારથી દુર ભાગેડુ તરીકે રહેવા માટે અમને મજબુર કર્યા છે તે કેસમાં કોઈ સમાધાન થશે નહિ. આની કોઈ માફી નથી; આ યાતના અમે જિંદગીભર ભૂલવાના નથી.”

Trending

Exit mobile version