વડોદરા શહેરમાં છાશવારે ભારદારી વાહનોના કારણે અનેક નાના વાહન ચાલકો તેમજ રાહદારીએ જીવ ગુમાવ્યા છે. ટ્રાફિક પોલીસની નિષ્ફળતાને કારણે પ્રતિબંધિત સમય મર્યાદામાં પણ ભારદારી વાહનો શહેરમાં બિન્દાસ્ત અવરજવર કરે છે. જયારે મોડે મોડે જાગેલા ટ્રાફિક વિભાગે 6 દિવસમાં 194 જેટલા ભારદારી વાહનો ડીટેઈન કરીને 132 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
તાજેતરમાં સોમા તળાવથી વાઘોડિયા રીંગ રોડ તરફના માર્ગ પર એક ડમ્પરના અડફેટે એક યુવકનું મોત થયું હતું.જયારે બીજી તરફ અટલાદરા વિસ્તારમાં પણ ડમ્પર નીચે આવી જતા એક યુવતીનો હાથ કચડાઈ ગયો હતો. પોલીસ દ્વારા વર્ષોથી સવારે 7 થી 1 અને સાંજે 4થી 9 વાગ્યા સુધી ભારદારી વાહનોને શહેરની હદમાં પ્રવેશ કરવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. છતાય બેધડક રીતે ભારદારી વાહનો શહેરમાં પ્રવેશીને અકસ્મતો સર્જે છે.
સામાન્ય દિવસોમાં ટ્રાફિક પોલીસ પણ જો ભારદારી વાહન શહેરમાં પ્રવેશે તો સમાધાન શુલ્કના નામે એક પાવતી બનાવી આપીને 24 કલાક સુધી તે ભારદારી વાહનને શહેરના પ્રતિબંધિત વિસ્તારમાં બેખોફ ફરવાની છૂટ આપી દે છે. જયારે મોડે મોડે જાગેલા ટ્રાફિક વિભાગે ભારદારી વાહનો સામે કાર્યવાહી શરુ કરી છે.
ગત 6 ડીસેમ્બરથી 12 ડીસેમ્બર સુધીના સમયગાળામાં ખાસ ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક પોલીસે 194 જેટલા ભારે વાહનોને ડીટેઈન કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જયારે 132 જેટલા અન્ય વાહન ચાલકો સામે પણ કડક કાર્યવાહી કરી હોવાની માહિતી ટ્રાફિક વિભાગે આપી છે. પિક અવર્સમાં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા ભારે વાહનો સામે હજી કડક કાર્યવાહી થશે તેમ ટ્રાફિક વિભાગે જણાવ્યું છે.