Vadodara

વડોદરા: મકરપુરામાં કાળ બનીને આવેલી કારે પિતા-પુત્રીને અડફેટે લીધા,માસૂમ બાળકીનું કરૂણ મોત

Published

on

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આજે સવારે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો. કટારીયા ઓટોમોબાઇલ્સ પાસે આવેલા મુખ્ય માર્ગ પર પુરપાટ ઝડપે આવતી બે ફોર-વ્હીલર ગાડીઓએ એક ટુ-વ્હીલરને અડફેટે લેતા 7 વર્ષની નિર્દોષ બાળકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.

📍ઘટનાની વિગત

મળતી માહિતી મુજબ, આજે સવારે એક પિતા પોતાની સાત વર્ષની પુત્રી જીયાનને શાળાએ છોડવા માટે ટુ-વ્હીલર પર જઈ રહ્યા હતા. આ દરમિયાન માર્ગ પરથી પસાર થઈ રહેલી એક ઇનોવા કાર અને વેગન આર કાર વચ્ચે ટુ-વ્હીલરનો અકસ્માત થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બાળકી રોડ પર પટકાઈ હતી અને ગંભીર ઈજાઓને કારણે તેનું સ્થળ પર જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. જ્યારે તેના પિતાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે એસએસજી (SSG) હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

🧐રાજકીય કનેક્શન અને લોકરોષ

અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જોકે, આ ઘટનામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે એવી ચર્ચા શરૂ થઈ કે ઇનોવા કારના ચાલકને અકસ્માત બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) ના ચિહ્નવાળી એક ખાનગી કારમાં બેસાડીને તાત્કાલિક મકરપુરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. આ જોતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું આરોપીને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે?

🚨પોલીસ કાર્યવાહી

​અકસ્માતનું સ્થળ મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં ન હોવાથી, બાદમાં બંને ફોર-વ્હીલર ચાલકોને માંજલપુર પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા છે. હાલમાં માંજલપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ તેજ કરી છે.

“માસૂમ જીયાનના મોતે આખા વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે. પોલીસ હવે સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે અકસ્માતની સાચી હકીકત તપાસી રહી છે.”

Trending

Exit mobile version