Vadodara

વડોદરા: દેણા ચોકડી પાસેના વિરોદ ગામમાં 5.5 ફૂટ લાંબો મગર રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યો; ગ્રામજનોમાં ફફડાટ

Published

on

  • મધરાતે મગરનો આતંક: વિરોદ ગામમાં ખેતર નજીક મગર દેખાતા અફરાતફરી; હેલ્પલાઇન દ્વારા ટીમ દોડી આવી.
  • સફળ રેસ્ક્યુ: ગામલોકોના સહકારથી ૫.૫ ફૂટના મગરને સુરક્ષિત રીતે પકડી વન વિભાગના હવાલે કરાયો.
  • વધતી વસ્તી: વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યા 50 થી વધીને 417 થઈ; સમગ્ર જિલ્લામાં 1000થી વધુ મગરોનો વસવાટ.
  • જાણવા જેવું: મગરના હુમલામાં મોત થાય તો સરકાર આપે છે 4 લાખનું વળતર; શેડ્યૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે મગર.

વડોદરા: વડોદરા જિલ્લામાં મગરોનો વસવાટ હવે નદીઓ પૂરતો મર્યાદિત રહ્યો નથી, તે અવારનવાર રહેણાંક વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યા છે. ગઈકાલે રાત્રે દેણા ચોકડી નજીક આવેલા વિરોદ ગામમાં એક 5.5 ફૂટ લાંબો મગર ખેતર પાસેના ઘરની નજીક આવી ચઢતા ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.

https://thefactfinder.in/wp-content/uploads/2026/04/InShot_20260402_124838671.mp4

🧐રાત્રિના સમયે રેસ્ક્યુ ઓપરેશન:

ઘટનાની જાણ રાત્રે 11:30 વાગ્યે હેલ્પલાઇન નંબર પર કરવામાં આવી હતી. માહિતી મળતા જ વિશાલ પટેલ, રોહન વસાવા, આયુષ મિશ્રા અને વરૂણ દીક્ષિતની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નીતિન પટેલના માર્ગદર્શન અને ગામલોકોના સહકારથી આ મગરને ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો હતો અને બાદમાં વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

🐊મગરોની વધતી સંખ્યા અને વિશ્વામિત્રી:

નોંધનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં માત્ર 50 મગરો હતા, જેની સંખ્યા આજે વધીને 417 પર પહોંચી છે. વડોદરા જિલ્લાની વિશ્વામિત્રી, દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1000થી વધુ મગરો નોંધાયેલા છે. મગર શેડ્યૂલ-1 નું સંરક્ષિત પ્રાણી હોવાથી તેનું સંરક્ષણ કરવું અનિવાર્ય છે.

હુમલો કેમ કરે છે મગર?

નિષ્ણાતોના મતે, મગર જ્યારે પાણીમાં હોય છે ત્યારે તેની જોવાની ક્ષમતા 60 થી 70 ટકા ઘટી જાય છે. તે પાણીમાં ઉઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઈ નદી કિનારે કપડાં ધુએ કે છબછબિયાં કરે, ત્યારે મગરને લાગે છે કે કોઈ પ્રાણી પાણી પીવા આવ્યું છે અને તે હુમલો કરે છે. જો મગરના હુમલામાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, તો સરકાર તરફથી 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે છે.

🫵વડોદરામાં મગરો અને માણસો વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે, ત્યારે સાવચેતી જ એકમાત્ર ઉપાય છે.

Trending

Exit mobile version