- નવી અરજીઓ સ્થગિત: કેનેડાના PGP પ્રોગ્રામમાં નવા ‘ઇન્ટરેસ્ટ ટુ સ્પોન્સર’ ફોર્મ લેવાનું બંધ કરાયું.
- પેન્ડિંગ પ્રોસેસિંગ: હાલ 50,900 થી વધુ જૂની અરજીઓ પ્રોસેસિંગમાં છે, જેની કામગીરી ચાલુ રહેશે.
- 2026 નો ટાર્ગેટ: જૂના અરજદારોમાંથી 15,000 લોકોને PR આપવાનું સરકારનું લક્ષ્ય.
- કારણ: દેશમાં વધતી હાઉસિંગ કટોકટી અને ઇમિગ્રેશન પર નિયંત્રણ લાવવાની સરકારની વ્યૂહરચના.
વડોદરા/કેનેડા: કેનેડામાં વસતા હજારો ભારતીય પરિવારો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. કેનેડા સરકારના ઇમિગ્રેશન વિભાગ (IRCC) એ ફેમિલી સ્પોન્સરશિપ હેઠળ ચાલતા અત્યંત લોકપ્રિય ‘પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરેન્ટ્સ પ્રોગ્રામ’ (PGP) હેઠળ નવા ‘ઇન્ટરેસ્ટ ટુ સ્પોન્સર’ ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે.
❓શા માટે લેવાયો આ નિર્ણય?
સરકારના આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ પ્રોગ્રામ પરનું અતિશય દબાણ છે. વર્ષ 2020માં જ્યારે છેલ્લીવાર નવા ફોર્મ મંગાવવામાં આવ્યા હતા, ત્યારે 2 લાખથી વધુ અરજીઓનો રેકોર્ડબ્રેક આંકડો મળ્યો હતો. હાલમાં, અંદાજે 50,900 અરજીઓ પેન્ડિંગ છે.. કેનેડામાં ચાલી રહેલી હાઉસિંગ કટોકટી અને જાહેર સુવિધાઓ પર વધતા ભારને ધ્યાનમાં રાખીને, સરકાર પેન્ડિંગ કામગીરીનો ઝડપી નિકાલ કરવા ઈચ્છે છે, જેના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.
🧐જૂના અરજદારો માટે રાહત:
જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે અરજદારોએ અગાઉથી પોતાની ફાઈલ સબમિટ કરી દીધી છે, તેમની પ્રક્રિયા રાબેતા મુજબ ચાલુ રહેશે. વર્ષ 2026 માટે સરકારે 15,000લોકોને PR આપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. કેનેડા સરકાર સતત ઇમિગ્રન્ટ્સની સંખ્યાને નિયંત્રિત કરવા માટે નીતિઓમાં ફેરફાર કરી રહી છે, જેનો આ એક ભાગ છે.
👉પરિવારોમાં ચિંતાનું મોજું:
ઘણા ભારતીયો કે જેઓ પોતાના માતા-પિતાને કેનેડા બોલાવવા માટે આતુર હતા, તેમના માટે આ નિર્ણય એક મોટા ઝટકા સમાન છે. આગામી આદેશ સુધી નવા ફોર્મ બંધ રહેતા હવે ક્યારે આ પ્રોગ્રામ ફરી શરૂ થશે, તે અંગે પણ અનિશ્ચિતતા જોવા મળી રહી છે.