વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો થંભવાનું નામ નથી લઈ રહ્યો. ગઈકાલે મોડી રાત્રે શહેરના સમા તળાવ પાસે એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. સમા તળાવ સર્કલથી ઊર્મિ બ્રિજ તરફ જઈ રહેલા એક 15 વર્ષીય સગીરનું બાઇક સ્લિપ થઈ જતાં માથામાં ગંભીર ઇજા થવાને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ બનાવને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
➡️ મળતી માહિતી મુજબ, કારેલીબાગ તુલસીવાડી વિસ્તારમાં રહેતા અને ભંગારનો વેપાર કરતા રાજુભાઈ પરમારનો નાનો પુત્ર હિતેન્દ્ર પરમાર ગઈકાલે રાત્રે જમીને ઘરેથી નીકળ્યો હતો.
- છેલ્લી વાતચીત: રાત્રે ૧૨:૩૮ વાગ્યે મોટાભાઈ રાહુલ સાથે ફોન પર વાત કરી હિતેન્દ્રએ કહ્યું હતું કે, “હું થોડીવારમાં ઘરે આવું છું.”
- અકસ્માતનો ઘટસ્ફોટ: જ્યારે ૧:૨૯ વાગ્યે પરિવારે ફરી ફોન કર્યો ત્યારે સામેથી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે ફોન ઉપાડ્યો અને અકસ્માતના આઘાતજનક સમાચાર આપ્યા હતા.
⚠️અકસ્માત સમા તળાવ પાસે આવેલા ભારત પેટ્રોલ પંપ પહેલાં સર્જાયો હતો. હિતેન્દ્રનું બાઇક અચાનક સ્લિપ થઈ જતાં તે રસ્તા પર પટકાયો હતો. માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી વધુ પડતું લોહી વહી ગયું હતું, જેને કારણે તેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
🚨પોલીસને બનાવની જાણ થતાં જ સમા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ (SSG) ખસેડ્યો છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
🔻માતા-પિતાનો લાડકવાયો પુત્ર અચાનક અકસ્માતમાં ગુમાવતા તુલસીવાડી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. શું આ અકસ્માત પાછળ રસ્તાની ખરાબ હાલત જવાબદાર છે કે અન્ય કોઈ કારણ? તે દિશામાં હવે પોલીસ તપાસ કરી રહી છે.