વડોદરાના મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં વિજ થાંભલા ઉભા કરવાની કામગીરી દરમિયાન બે શ્રમિકોનો કરંટ લાગવાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આ ઘટનામાં શ્રમિકોને થાંભલામાં કરંટ લાગ્યાના ત્રણ સેકંડમાં જ તેઓ ઢળી પડે છે. સુત્રોના જણાવ્યા અનુસાર, શ્રમિકોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવતા તેમને જીવ બચાવી શકાયો છે. પરંતુ આ ઘટનાને પગલે કોન્ટ્રાક્ટર દ્વારા કેટલી અતિગંભીર બેદરકારી દાખવી છે તે ખુલ્લુ પડી જવા પામ્યું છે. હવે કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું.
Advertisement
વડોદરાની મકરપુરા જીઆઇડીસીમાં થાંભલા નાંખવાની કામગીરી ચાલી રહી છે. જેને લઇને વિસ્તારમાં શ્રમિકો કામગીરી કરી રહ્યા છે. દરમિયાન વિજ કરંટ લાગવાની ઘટનાના સીસીટીવી હાલ સપાટી પર આવ્યા છે. ચાર મીનીટના સીસીટીવીમાં જોઇ શકાય છે કે, બે જેટલા વાહનો તથા અનેક શ્રમિકો આ કામગીરીમાં જોડાયેલા છે. એક વાહન આગળ જતા બીજા વાહનમાંથી થાંભલો ઉતારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
દરમિયાન થાંભલાને પકડવા માટે બે શ્રમિકો દોડીને તેની નજીક જાય છે. તેવામાં જ થાંભલો વિજ લાઇનને ફડી જતા ત્રણ સેકંડ જેટલા સમયગાળામાં બે શ્રમિકોના પગમાં સ્પાર્ક જેવું દેખાય છે. અને કોઇ કંઇ સમજે તે પહેલા તેઓ જ જમીન પર ઢળી પડે છે. આ ઘટનામાં બે શ્રમિકો ઢળી પડતા આસપાસના લોકો તુરંત સ્થળ પર દોડી જાય છે. બાદમાં બંનેને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. આ ઘટનામાં બંને શ્રમિકો હાલ એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે વિજ કંપનીનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
Advertisement
ઉપરોક્ત ઘટનામાં શ્રમિકોની સેફ્ટીને લઇને ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. વિજ થાંભલા નાંખવાની કામગીરી સમયે જ્યારે આ દુર્ઘટના થઇ ત્યારે સુપરવાઇઝર ક્યાં હતો, શ્રમિકોને સુરક્ષાના સાધનો આપવામાં આવ્યા હતા કે કેમ, શ્રમિકોને વિસ્તારની માહિતી હતી કે કેમ તેવા અનેક અણિયારા સવાલોએ લોકોના મનમાં સ્થાન લીધું છે.