- સરકારી વિસંગતતા: કેન્દ્ર સરકારે પ્રતિબંધ ઉઠાવ્યો, પણ ગુજરાત સરકારના પરિપત્રને લઈને મુંઝવણ.
- ખેડૂતોની હાલાકી: કારબામાં ડીઝલ મળતું ન હોવાથી ખેતીના કામકાજ અને પિયત પર માઠી અસર.
- કાયદાકીય જોખમ: પ્રતિબંધ હોવા છતાં સંચાલકો ઈંધણ આપે તો કાર્યવાહીનો ડર.
- ત્વરિત માંગ: ખેડૂતો અને વેપારી સંગઠનોએ રાજ્ય સરકારને પરિપત્ર તાત્કાલિક પાછો ખેંચવા કરી માંગ.
વડોદરા: ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવ અને હોર્મુજની ખાડીમાં સર્જાયેલી સ્થિતિને પગલે ભારતમાં પેટ્રોલ-ડીઝલની અછતની આશંકાએ તંત્ર દ્વારા અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. જોકે, હવે સ્થિતિ સામાન્ય થતાં કેન્દ્ર સરકારે પ્રતિબંધો ઉઠાવી લીધા છે, પરંતુ ગુજરાત સરકારના પરિપત્રમાં હજુ સુધારો ન થતાં પેટ્રોલ પંપ સંચાલકો અને ખેડૂતો અસમંજસમાં મુકાયા છે.
❓સમસ્યા શું છે?
ગુજરાત સરકારે 23 માર્ચ 2026ના રોજ પરિપત્ર બહાર પાડીને માત્ર વાહનોની ટાંકીમાં જ ઈંધણ ભરવા અને કારબા કે અન્ય સાધનોમાં પેટ્રોલ-ડીઝલ ન આપવા આદેશ આપ્યો હતો. બાદમાં 11 જૂન 2026ના રોજ કેન્દ્ર સરકારે પણ પ્રતિબંધો લાદ્યા હતા. હવે યુદ્ધની સ્થિતિ સામાન્ય થતાં કેન્દ્ર સરકારે 29 જૂનના રોજ સત્તાવાર રીતે પ્રતિબંધ ઉઠાવી લીધો છે. પરંતુ, ગુજરાત સરકારે હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા કે પરિપત્ર પાછો ખેંચ્યો નથી.
🧐ખેડૂતો પર સૌથી મોટી અસર:
આ પ્રતિબંધોની સૌથી વધુ અસર રાજ્યના ખેડૂતો પર પડી રહી છે. અંતરિયાળ ગામડાંમાં ટ્રેક્ટરમાં ઈંધણ પુરાવવા માટે 15-20 કિમી દૂર જવું ખેડૂતો માટે અત્યંત ખર્ચાળ છે. વધુમાં, ખેતરમાં પાણી ખેંચવાના મોટર પંપ માટે પણ ખેડૂતોને કારબામાં ડીઝલ લાવવું પડે છે. રાજ્ય સરકારના પ્રતિબંધના કારણે ખેડૂતો મૂંઝવણમાં છે, અને જો પેટ્રોલ પંપ સંચાલકો ડીઝલ આપે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહીનું જોખમ રહેલું છે.
⛽પંપ સંચાલકોની મૂંઝવણ:
પેટ્રોલ પંપના સંચાલકો પણ મુંઝવણમાં છે. એક તરફ કેન્દ્ર સરકારની સૂચના છે અને બીજી તરફ રાજ્ય સરકારના જૂના પરિપત્રનો અમલ કરવો પડે તેમ છે. સંચાલકોએ સરકારને વિનંતી કરી છે કે તેઓ ત્વરિત ધોરણે આ પ્રતિબંધ ઉઠાવવાની જાહેરાત કરે જેથી ખેડૂતોની મુશ્કેલી દૂર થાય અને પંપ સંચાલકો પણ નિર્ભયપણે વેપાર કરી શકે.