- 15 વર્ષીય સગીરાનું અપહરણ: સોમતળાવ વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવતા પરિવારની દીકરી ગુમ થવાથી ચકચાર મચી છે.
- અતુલ સોલંકી સામે આક્ષેપ: પરિવારે અતુલ સોલંકી નામના શખસ પર અપહરણ કર્યાનો આરોપ મૂક્યો છે.
- કપુરાઈ પોલીસની નિષ્ક્રિયતા: 10 દિવસ વીતવા છતાં પોલીસ દ્વારા કોઈ પત્તો ન લાગતા અને આરોપીને છાવરતી હોવાનો પરિવારનો દાવો છે.
- ડેપ્યુટી CM પાસે મદદની માંગ: પીડિત પિતાએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હર્ષ સંઘવી પાસે દીકરીને હેમખેમ પરત લાવવા અપીલ કરી છે.
વડોદરા શહેરના સોમતળાવ વિસ્તારમાંથી અનાજ-કરિયાણાની દુકાન ચલાવતા એક પરિવારે પોતાની 15 વર્ષીય સગીર પુત્રીના અપહરણને લઈને પોલીસ તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પરિવારની દીકરી અચાનક ગુમ થઈ જતાં સમગ્ર પરિવાર ચિંતિત બન્યો છે અને આ મામલે અતુલ સોલંકી નામના શખસ સામે અપહરણ કર્યાનો સીધો આક્ષેપ મૂકવામાં આવ્યો છે.
આ મામલે પરિવારે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં અગાઉ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ ફરિયાદ નોંધાયા બાદ 10 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પોલીસ દ્વારા દીકરીની ભાળ મેળવવામાં કોઈ જ સફળતા મળી નથી. પીડિત પિતાનો આક્ષેપ છે કે પોલીસે તેમની રજૂઆત યોગ્ય રીતે નોંધી નથી અને પોલીસ આરોપીને છાવરવાનો પ્રયાસ કરી રહી છે, જેના કારણે દીકરીને શોધવા માટે પિતાએ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડી રહ્યા છે.
દીકરીના અપહરણની આ ઘટનાને 10 દિવસથી વધુ સમય થઈ ગયો હોવા છતાં પોલીસ વિભાગ તરફથી કોઈ નક્કર કાર્યવાહી ન થતાં પરિવારની ચિંતા ચરમસીમાએ પહોંચી ગઈ છે. ન્યાય ન મળવાના કારણે અટવાાયેલા પરિવારે અંતે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અને ડેપ્યુટી CM હર્ષ સંઘવી સમક્ષ મીડિયાના માધ્યમથી ગુહાર લગાવી છે કે તેમની દીકરીને હેમખેમ સત્વરે શોધીને પરત લાવવામાં આવે.
પોલીસની ઢીલી નીતિ સામે રોષે ભરાયેલા પરિવારે ચેતવણી આપી છે કે જો વહેલી તકે આરોપી ઝડપાઈને દીકરી પરિવારને નહીં સોંપવામાં આવે, તો તેઓ ઉચ્ચ કક્ષાએ ઉગ્ર આંદોલન અને રજૂઆત કરવા મજબૂર બનશે. હાલ તો આ મામલો વડોદરામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.