વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલી માં અંધારી રાત્રે ડ્રેનેજ લાઇન ઉલેચવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં દુષિત અને દુર્ગંધ મારતા પાણીનો જાહેર રોડ પર નિકાલ કરવામાં આવતા પસાર થતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. આ પ્રકારના કૃત્યથી વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વ્યાપી જવા પામી છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે તંત્રએ ખાસ કાળજી રાખવી જોઇએ. હાલ તો અહિંયાથી પસાર થતી વેળાએ ફરજિયાત મોંઢા આડે રૂમાલ રાખવો પડે, અથવાતો તેને ઢાંકી રાખવું પડે તેવી સ્થિતી સર્જાઇ છે.
વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલીમાં ડ્રેનેજ લાઇનની સમસ્યા તંત્રના ધ્યાને આવતા કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. પાલિકા તંત્ર દ્વારા સાવલી પોલીસ સ્ટેશન પાસેથી પસાર થતી ડ્રેનેજની લાઇનને ઉલેચવાનું કાર્ય રાત્રીના સમયે કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન ડ્રેનેજની કુંડીને ઉલેચવામાં આવી હતી. જેમાંથી દુષિત અને દુર્ગંધ મારતું પ્રવાહી બહાર કાઢીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ કામથી ડ્રેનેજનો પ્રશ્ન તો ઉકેલાઇ ગયો હતો. પરંતુ બીજી સમસ્યા સર્જાઇ હતી.
આ દુષિત અને દુર્ગંધ મારતું પાણી રોડ પર ઠાલવવામાં આવતા સવારે પસાર થતા લોકોની મુશ્કેલી વધી હતી. દુર્ગંધ એટલી તિવ્ર હતી કે, અહિંયાથી પસાર થતા લોકોએ નાક આડે રૂમાલ રાખવો અથવા તો તેને ઢાંકી રાખવાની ફરજ પડી હતી. આ પરિસ્થીતી જોતા રાત્રીના સમયે વિસ્તારમાં મચ્છરોનો ત્રાસ વધી શકે તેમ છે. સાથે જ સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યાપી જવા પામી છે. આ સ્થળ નજીક ખાણી-પીણીની લારીઓ હોવાથી તેમના ધંધા-રોજગારને પણ નુકશાન પહોંચવાની શક્યતા આ તબક્કે નકારી શકાય તેમ નથી.