વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં દૂષિત પાણીને કારણે અનેક લોકો રોગચાળામાં સપડાયા છે. દૂષિત પાણીની સમસ્યાનો નિકાલ કરવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે ત્યારે હવે આ રોગચાળો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હોસ્ટેલ સુધી પહોંચ્યો છે.
MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં પાણીજન્ય મચ્છર જન્ય રોગને કારણે 12 જેટલી વિદ્યાર્થીનીઓ માંદગીમાં સપડાઈ છે. જે બાદ સફાળા જાગેલા તંત્રએ ગર્લ્સ હોસ્ટેલમાં ફોગીંગ કરાવ્યું છે. આજે હોસ્ટેલ કેમ્પસમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. હોસ્ટેલ રુમ્સ અને બાથરૂમ સહિત ખુલ્લી જગ્યામાં ફોગીંગ કરવામાં આવ્યું હતું.
વધતી જતી રોગચાળાની દહેશતને કારણે વિદ્યાર્થીનીઓ મચ્છરના ઉપદ્રવ અંગે રજુઆત કરી હતી. જે બાદ ફોગિંગ કરવામાં આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે. હજી હોસ્ટેલમાં દૂષિત પાણી આવી રહ્યા છે. જેના કારણે પણ ઝાડા ઉલટીના કેસો જોવા મળ્યાં છે. અત્યાર સુધી 12 જેટલી વિદ્યાર્થીનીઓ માંદગીમાં સપડાઈ છે. જો દૂષિત પાણીની સમસ્યા દૂર નહીં થાય તો આંકડો વધે તેવી શક્યતાઓ છે.