આંતરિક અસંતોષની આગ:ભાજપના જ નારાજ નેતાઓ કે કાર્યકર્તાઓ આ વિરોધ પાછળ હોવાની ચર્ચા; ચૂંટણી ટાણે જ પક્ષમાં ભંગાણના એંધાણ.
વાયરલ પોસ્ટર્સ:સોશિયલ મીડિયા પર ‘સ્થાનિક વિરુદ્ધ આયાતી’નો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન; માંજલપુર બેઠકના સમીકરણો બદલાવાની શક્યતા.
મતદાન પૂર્વે મડાગાંઠ:વોર્ડ-૧૮ના વિવાદ બાદ હવે માંજલપુરમાં પોસ્ટર વોર; શું આ આંતરિક બળવો ભાજપ માટે બનશે મુસીબત?
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાનના આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે માંજલપુર વિસ્તારમાં લાગેલા વિરોધના પોસ્ટરોએ રાજકીય ગલિયારાઓમાં ભૂકંપ સર્જી દીધો છે. ‘વડોદરા જાગૃતિ સમિતિ’ના નામે ઠેર-ઠેર લાગેલા પોસ્ટરોમાં મતદારોને ‘આયાતી’ ઉમેદવારને નકારવાની સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે.
🧐ઘર આંગણે જ બળવો:
આ પોસ્ટર વોર ભાજપના આંતરિક અસંતોષને છતો કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પક્ષના જ નારાજ નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા આ અભિયાન છેડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી જ વોર્ડ નં. ૧૮માં વરિષ્ઠ નેતાઓ દ્વારા આયાતી ઉમેદવારોનો વિરોધ કરવામાં આવ્યો હતો, અને હવે તે વિરોધની જ્વાળા માંજલપુર સુધી પહોંચી ગઈ છે.
❓સમીકરણોમાં પલટો?
માંજલપુરના મુખ્ય માર્ગો અને સોસાયટીઓ બહાર લાગેલા આ બેનરોમાં લખાયું છે કે, “સ્થાનિક ઉમેદવારને મતદાન કરશો, આયાતી ઉમેદવારથી દૂર રહેશો.” આ લખાણે મતદારોમાં અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે. આ આંતરિક વિરોધ માત્ર પક્ષ વિરોધી પ્રવૃત્તિ છે કે પછી મતદારોનો સાચો લોકશાહી અવાજ? તે તો આગામી પરિણામો જ બતાવશે, પરંતુ આ વિવાદે સત્તાવાર ઉમેદવારની ઊંઘ હરામ કરી દીધી છે.
🫵મતદાનના આગલા દિવસે માંજલપુરનો આ પોસ્ટર વોર ચૂંટણીના સમીકરણો પર મોટી અસર કરી શકે છે. શું મતદારો આ અપીલને માન આપશે? કે પછી પક્ષનું શિસ્ત આ વિરોધને દબાવી દેશે?