- આખી રાત બાળકોને લઇને બેસી રહેવું પડે છે. ચોમાસુ આવી રહ્યું છે, એટલે જ અમે ઉતાવળી કરી રહ્યા છે – પીડિત સ્થાનિક
- કારેલીબાગમાં કાર્યક્રમ બાદ સ્થાનિકોએ નેતાઓ જોડે જવાબ માંગ્યો
- પાણી ભરાઇ જવાની સમસ્યા આ વખતે નહીં સર્જાય તેવા સવાલો પુછતા કોર્પોરેટરે વીડિયો બતાવ્યો
- 500 ઘરોમાં પાણી ભરાઇ જવાથી નુકશાન વેઠવું પડતું હોવાનું સ્થાનિકોએ મીડિયાને જણાવ્યું
- લોકોના ઘરમાં પાણી ના ભરાય તે માટેના જ આ આયોજન કરાયું હોવાનું શાસક પક્ષના નેતાઓ જણાવ્યું
આજે વડોદરા ના કારેલીબાગ વિસ્તારના આનંદ નગર પાસે જળશક્તિ અભિયાન અંતર્ગત સ્પોન્જ પોન્ડનું ઉદ્ધાટન અને હોમ કંમ્પોસ્ટ કીટ નું વિતરણ કાર્ય રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર ભાજપ અધ્યક્ષ ડો. જયપ્રકાશ સોની સહિતના કોર્પોરેટરો તથા અગ્રણીઓ હાજર હતા. કાર્યક્રમ પતી ગયા બાદ સ્થાનિકો દ્વારા BJP કોર્પોરેટરો સમક્ષ આ વખતે ઘરોમાં પાણી નહીં આવે તેવી બાંહેધારી માંગવામાં આવી હતી. જેની સામે નેતાઓ કોઇ નક્કર જવાબ આપી શક્યા ન્હતા. નોંધનીય છે કે, આનંદ નગર નીચાણવાળું હોવાથી પાણી ભરાઇ જવાની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત છે. જેના કારણે તેમને વર્ષો વર્ષ નુકશાન પણ થઇ રહ્યું છે.
સ્થાનિકે મીડિયા સમક્ષ બળાપો ઠાલવતા કહ્યું કે, અમારી સોસાયટીમાં 500 થી વધુ મકાનો આવેલા છે. ચૂંટણી આવે છે ત્યારે બધાય આવે છે. પાણી ભરાય ત્યારે કોઇ આવતું નથી. લાઇન ચોકઅપ છે, પાણી જવાનો કોઇ રસ્તો નથી. અમે રજુઆત કરીએ ત્યારે કોઇ આવતું નથી. હમણાં કાર્યક્રમ છે, એટલે બધા આવ્યા છે. વર્ષ 2019 માં ફૂલ પાણી ભરાયું હતું, મીડિયાની મદદથી અમને સહાય મળી હતી. અમારી માંગણી છે કે, અમે કોઇ પક્ષનો વિરોધ નથી, અમને માત્ર બાંહેધારી આપવામાં આવે કે, આ વખતે અમારે ત્યાં પાણી નહીં આવે.
સ્થાનિક મહિલાએ ઉમેર્યું કે, અમારે ત્યાં પાણી આવે ત્યારે કોઇ જોવા આવતું નથી. આગળની લાઇન ચોકઅપ છે, પરમ દિવસે રાત્રે અઢી વાગ્યા સુધી અમે પરેશાન થયા હતા. આગળ પાણી જતું જ નથી. તેઓ કરી આપે તો સારૂ, આખી રાત બાળકોને લઇને બેસી રહેવું પડે છે. ચોમાસુ આવી રહ્યું છે, એટલે જ અમે ઉતાવળી કરી રહ્યા છે. પાણીમાં અમારૂ અનાજ પણ બદલાય છે. અમારી પર ઘણું વર્તે છે.
ભાજપના કોર્પોરેટર બંદીશ શાહે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આ ભાઇના આરોપો સામે મારી પાસે વીડિયો છે. રાત્રે એક વાગ્યે મેં આ વીડિયો લીધો છે. મેં જાતે આવીને કામ કર્યું છે, આ પ્રયાસો તેમની માટે જ કરી રહ્યા છીએ. સાથે બે ચેમ્બર પણ બનાવી છે. આ વખતે મહદઅંશે પાણી નહીં ભરાય તેવો પ્રયાસ કર્યો છે. તેઓ કહે છે, કોઇ નથી આવતું, પરંતુ મેં રાત્રે એક વાગ્યે આવીને કામ કરાવ્યું છે. તેઓ આરોપ લગાવી રહ્યા છે, તેમને તકલીફ પડે છે, અને અમે પ્રયત્નો કરીએ છીએ બંને હકીકત છે. સુખદ સમાધાન માટે અમે લાઇન મંજુર કરાવી છે, લાઇન નવી પણ નાંખી છે, હાલની લાઇનને અમે સાફ પણ કરાવીશું.
પાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલે કહ્યું કે, વર્ષો જુની લાઇનના કેપેસીટી ઓછી છે, જેથી પાણી જવામાં મોડું થાય છે. તેમની માટે જ અમે આ સ્પોન્જ પોન્ડ બનાવ્યો છે. આ કામગીરીનું પરિણામ આવતા પહેલા તેમને દહેશત છે, બીક છે, વરસાદનો ટ્રેન્ડ બદલાઇ રહ્યો છે. આ વિસ્તાર નિચાણવાળો છે, સુરજ તળાવ પર આનંદ નગર બન્યું છે. પાણી વધુ જમીનમાં ઉતરે તે રીતનું કામ કર્યું છે. આગળ પણ રેઇન વોટર હાર્વેસ્ટીંગના પોઇન્ટ તૈયાર કર્યા છે. વરસાદી ચેનલના કામનું ટેન્ડર છ વખત કરવામાં આવ્યું હતું. કોઇએ ભર્યું નથી. ફરી એક વખત તે પ્રક્રિયા હાથ ઘરવામાં આવનાર છે.