- આવાસ યોજનાના ફોર્મ લેવા માટે લોકો વહેલી સવારથી કતારોમાં લાગી રહ્યા છે. તેમનો વારો આવે ત્યારે ફોર્મ ખુટી પડ્યા હોવાનું જણાવી દેવાય છે
વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી ખાનગી બેંક થકી આવાસ યોજના ના ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પહેલી તારીખ બાદથી અહિંયા ફોર્મની અછત હોવાનું સપાટી પર આવ્યું છે. જેના કારણે અરજદારોને સવાર-સવારમાં ધક્કો પડી રહ્યો છે. પોતાના તમામ કામો છોડીને ફોર્મની તપાસમાં ઉભા રહેતા લોકોને છેલ્લે નિરાશા જ સાંપડી રહી છે. જેથી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટે રજુઆત મીડિયાના માધ્યમથી કરવામાં આવી છે. જો તેમ કરવામાં નહીં આવે તો સામાજીક કાર્યકરે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
વડોદરામાં પોતાનું ઘર મેળવવા માટે સરકારની આવાસ યોજનાના ફોર્મ લેવા માટે લોકો વહેલી સવારથી કતારોમાં લાગી રહ્યા છે. પરંતુ તેમનો વારો આવે ત્યારે ફોર્મ ખુટી પડ્યા હોવાનું જણાવી દેવામાં આવે છે. જેથી તેમણે નિરાશ થવું પડી રહ્યું છે. આખરે લોકોએ વિલા મોંઢે પરત ફરવું પડી રહ્યું છે. તેવા સંજોગોમાં હવે સામાજીક કાર્યકર લોકોની વ્હારે આવ્યા છે. અને આ મામલે લડત આપવાની તૈયારી દર્શાવી રહ્યા છે.
સામાજીક અને રાજકીય એક્ટિવીસ્ટ પિંકલ રામીએ મીડિયાને જણાવ્યું કે, પ્રધાન મંત્રી આવાસના EWS ના 103 ખાલી પડેલા મકાનો માટે ડ્રો માટે ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તા. 1 થી લઇને 20 સુધી ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પહેલી તારીખે માત્ર ફોર્મ વહેંચાયા હતા. ત્યાર બાદ ફોર્મ વેચાયા નથી. લોકો વહેલી સવારથી ફોર્મ માટે લાઇનો લગાવીને ઉભા રહે છે. 10 વાગ્યે બેંક ખુલે ત્યારે ખબર પડે કે આજે ફોર્મ ખુટી પડ્યા છે. તેઓ લોકોને ફોર્મની અછત હોવાનું જણાવીને પરત મોકલી રહ્યા છે. જો ઑઆ વાતનો યોગ્ય નિર્ણય નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
અરજદારે કહ્યું કે, બીજી તારીખે હું આવ્યો ત્યારે ફોર્મ નહીં હોવાનું જણાવ્યું હતું. આજે પણ આવા જ હાલ છે. અમે ત્રણ વખત ધક્કા ખાઇ ચુક્યા છીએ. લોકોનો સમય બચે તે માટે પ્રયાસ કરવો જોઇએ. અન્ય દિવ્યાંગ મહિલા અરજદારે કહ્યું કે, અમે ત્રણ વખત આવ્યા છીએ, કોઇ સરખી રીતે માર્ગદર્શન આપતું નથી.