નવી દિલ્હી: CBSE ની ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમને લઈને દેશભરમાં સર્જાયેલા વિવાદ બાદ આખરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મૌન તોડ્યું છે. શિક્ષણ મંત્રીએ આ સમગ્ર મામલે નૈતિક જવાબદારી સ્વીકારતા ખાતરી આપી છે કે, મૂલ્યાંકન પ્રક્રિયામાં કોઈ પણ ગેરરીતિ સાબિત થશે તો દોષિતોને છોડવામાં આવશે નહીં.
🧐વિદ્યાર્થીઓની સતત ફરિયાદો:
છેલ્લા કેટલાક દિવસોથી હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા બોર્ડ સમક્ષ ફરિયાદોનો વરસાદ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, ઓનલાઇન મળતી સ્કેન કોપીઓ અત્યંત ધૂંધળી છે અને કેટલીક ઉત્તરવહીઓમાં તો પ્રશ્નો તપાસ્યા વગર જ છોડી દેવામાં આવ્યા છે. વધુમાં, રી-ઇવેલ્યુએશન માટેના પોર્ટલ પર ટેકનિકલ ખામીઓને કારણે વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
🗣️શિક્ષણ મંત્રીનો પક્ષ:
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ ટેકનિકલ સિસ્ટમનો બચાવ કરતા જણાવ્યું કે, આ એક અત્યંત પ્રગતિશીલ અને વૈશ્વિક સ્તરે સ્વીકારાયેલું મોડલ છે. તેમણે આંકડા આપતા કહ્યું કે, 17 લાખ વિદ્યાર્થીઓની 98 લાખ ઉત્તરવહીઓ અને તે મુજબ 40 કરોડ જેટલા પેજ સ્કેન કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, “અમે આ ખામીઓને સુધારવા અને તેનો યોગ્ય ઉકેલ શોધવા માટે કામ કરી રહ્યા છીએ.”
🤨રાજકીય વિવાદ અને અપીલ:
આ મુદ્દો હવે રાજકીય વળાંક લઈ ચૂક્યો છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સરકારની નિષ્ફળતા પર સવાલ ઉઠાવતા શિક્ષણ મંત્રીએ વળતો પ્રહાર કર્યો હતો. પ્રધાને કહ્યું કે, રાહુલ ગાંધી હંમેશા ડિજિટલ ઈન્ડિયા અને વૈજ્ઞાનિક પ્રગતિનો વિરોધ કરે છે. સાથે જ તેમણે તમામ રાજકીય પક્ષોને અપીલ કરી કે, વિદ્યાર્થીઓનો માનસિક તણાવ વધે તેવા નિવેદનો આપવાથી બચવું જોઈએ.
👉ડેમેજ કંટ્રોલના પ્રયાસો
પરિસ્થિતિને નિયંત્રિત કરવાના ભાગરૂપે, CBSE દ્વારા સ્કેન આન્સર શીટ મેળવવા માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી દેવામાં આવી છે. બોર્ડે ખાતરી આપી છે કે વિષયના નિષ્ણાતો દ્વારા તમામ સાચી ફરિયાદોની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવશે.