રાજ્યોને અપીલ:કાળાબજારી અને સંગ્રહખોરી રોકવા મુખ્યમંત્રીઓને પીએમનો કડક આદેશ.
નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસદના બજેટ સત્ર દરમિયાન દેશની જનતા અને રાજ્ય સરકારોને અત્યંત મહત્વનો સંદેશ આપ્યો છે. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જો આ જંગ લાંબો ચાલશે તો તેના ગંભીર દુષ્પરિણામો આવશે અને દુનિયાને આમાંથી બહાર આવતા ઘણો સમય લાગશે.
પીએમએ જણાવ્યું કે ખાડી દેશોમાં વસતા 1 કરોડ ભારતીયોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અત્યાર સુધીમાં પોણા ચાર લાખ ભારતીયોને સુરક્ષિત પરત લાવવામાં આવ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા ભારતીય ક્રૂ મેમ્બર્સ અને જહાજોની સુરક્ષા માટે ભારત સરકાર પળેપળની સ્થિતિ પર નજર રાખી રહી છે. વિદ્યાર્થીઓના હિતમાં બોર્ડની પરીક્ષાઓ પણ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.
🗣️ઉર્જા અને ખાદ્ય સુરક્ષા પર ભરોસો:
વડાપ્રધાને દેશને આશ્વાસન આપ્યું છે કે ભારત પાસે 53 લાખ મેટ્રિક ટન પેટ્રોલિયમ રિઝર્વ છે. ઉર્જા આયાતનું વિકેન્દ્રીકરણ કરીને હવે ભારત 41 દેશોમાંથી તેલ મંગાવી રહ્યું છે. ખેડૂતોના મહેનતથી અન્નના ભંડાર ભરેલા છે, જેના કારણે ખાદ્ય સુરક્ષાનો કોઈ ખતરો નથી. રિન્યુએબલ એનર્જી અને સોલાર રૂફટોપના માધ્યમથી ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો જાતે પૂરી કરવા તરફ આગળ વધી રહ્યું છે.
🧐રાજ્યો માટે ‘ટીમ ઈન્ડિયા’ મોડલ:
પીએમ મોદીએ તમામ રાજ્ય સરકારોને અનુરોધ કર્યો છે કે કોરોના કાળની જેમ ફરી એકવાર ‘ટીમ ઈન્ડિયા’ બનીને કામ કરવાનો સમય આવ્યો છે. તેમણે રાજ્યોને કાળાબજારી અને સંગ્રહખોરી કરનારા તત્વો સામે ત્વરિત કાર્યવાહી કરવા અને ગરીબ-શ્રમિકોને અનાજ મળતું રહે તે સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે.
🙏દેશવાસીઓને અપીલ:
“આ સંકટ આપણી મોટી પરીક્ષા લેશે,” તેમ જણાવતા પીએમએ દેશવાસીઓને ધૈર્ય રાખવા અને અફવાઓથી સાવધ રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે ભારત દરેક ક્ષેત્રમાં અન્ય દેશો પરની નિર્ભરતા ઘટાડી ‘આત્મનિર્ભર’ બનવા તરફ મજબૂત ડગ માંડી રહ્યું છે.
🫵વડાપ્રધાનના આ આત્મવિશ્વાસભર્યા સંબોધને સ્પષ્ટ કર્યું છે કે ભારત કોઈ પણ વૈશ્વિક પડકારને ઝીલવા માટે સજ્જ છે.