આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાયા બાદ ચક્રવાત મોન્થા આખરે નબળું પડી ગયું છે. ભારતીય હવામાન વિભાગે બુધવારે જણાવ્યું કે ચક્રવાત મોન્થા હવે મધ્યમ ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થઈ ગયું છે. ચક્રવાત બુધવારે વહેલી સવારે મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે જમીન પર ત્રાટક્યું હતું. જમીન પર પહોંચ્યા બાદ તે ઉત્તરપશ્ચિમ દિશામાં આશરે 10 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.
હવામાન વિભાગ અનુસાર, ચક્રવાતનું કેન્દ્રબિંદુ નરસાપુરથી 20 કિમી, મછલીપટ્ટનમથી 50 કિમી અને કાકીનાડાથી 90 કિમી દૂર હતું. મછલીપટ્ટનમ અને વિશાખાપટ્ટનમમાં ડોપ્લર રડાર દ્વારા વાવાઝોડાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.રાજ્યના અનેક દરિયાકાંઠાના જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદ અને 70 કિમી પ્રતિ કલાક સુધીની તેજ પવનની સ્થિતિ સર્જાઈ છે. પશ્ચિમ ગોદાવરી, કૃષ્ણા અને પૂર્વ ગોદાવરી જિલ્લામાં વૃક્ષો પડવાથી વીજપુરવઠો ખોરવાયો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. નેલ્લોર જિલ્લામાં 36 કલાકથી સતત વરસાદ ચાલુ છે. કોનાસીમામાં ઝાડ પડવાથી એક મહિલાનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય ત્રણ લોકોના મોતના અહેવાલો છે.
ચક્રવાતની ગંભીરતા જોતા આંધ્રપ્રદેશ સરકારે સાત જિલ્લાઓમાં રાત્રે 8:30 થી સવારે 6:00 વાગ્યા સુધી વાહનવ્યવહાર પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં કૃષ્ણા, એલુરુ, કાકીનાડા, પશ્ચિમ ગોદાવરી, પૂર્વ ગોદાવરી, કોનાસીમા અને અલ્લુરી સીતારામ રાજુ જિલ્લાઓનો સમાવેશ થાય છે. ફક્ત તબીબી અને કટોકટી સેવાઓને જ મંજૂરી આપવામાં આવી છે.
વાવાઝોડાને કારણે હવાઈ અને રેલ વ્યવસ્થામાં પણ અવરોધ સર્જાયો છે. વિશાખાપટ્ટનમ એરપોર્ટથી 32, વિજયવાડાથી 16 અને તિરુપતિથી 4 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે દક્ષિણ મધ્ય રેલ્વે દ્વારા 120થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે.રાહત અને બચાવ કામગીરી માટે 25 NDRF ટીમો સ્થળ પર તૈનાત કરી દેવામાં આવી છે. વીજળી, પાણી અને સંદેશાવ્યવહાર સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે સમારકામ દળો કામ કરી રહ્યા છે.
ઓડિશામાં પણ મોન્થાની અસર દેખાઈ રહી છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ રાજ્યના દક્ષિણ જિલ્લાઓમાં 2,000 થી વધુ રાહત કેન્દ્રો સક્રિય કર્યા છે. અત્યાર સુધીમાં 11,000 લોકોનું સ્થળાંતર પૂર્ણ થયું છે, જ્યારે 30,000 લોકોને ખસેડવાની તૈયારી ચાલી રહી છે.ઓડિશાના મલકાનગિરી, રાયગડા, કોરાપુટ, ગજપતિ અને ગંજમ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર છે, જ્યારે કંધમાલ, નયાગઢ, બોલાંગીર, પુરી અને ખુર્દા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અન્ય જિલ્લાઓ માટે ભારે વરસાદ માટે પીળો એલર્ટ લાગુ છે.
રાજ્ય સરકારે નવ જિલ્લાઓમાં શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો 30 ઓક્ટોબર સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. દેવમાલી અને મહેન્દ્રગિરી ટેકરીઓમાં પ્રવાસીઓને પ્રવેશવા પર પ્રતિબંધ મૂકાયો છે, અને માછીમારોને 29 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિડીયો કોન્ફરન્સ દ્વારા પૂર્વ તટ અને દક્ષિણ મધ્ય રેલ્વે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી. તેમણે મુસાફરોની સલામતી, ટ્રેન નિયંત્રણ અને આપત્તિ એજન્સીઓ વચ્ચે સંકલન મજબૂત કરવા સૂચના આપી.