અકસ્માતનું કારણ કાર ચાલકે રસ્તા પર આડેધડ આવી ગયેલા શ્વાનને બચાવવાનો પ્રયાસ કરવો હતો.
અકસ્માતમાં કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે નષ્ટ થયો છે.
ચાર મુસાફરોમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે.
નવસારી શહેરમાં મંગળવારે મોડી રાત્રે ભયાનક અકસ્માત બન્યો હતો. શહેરના તીઘરા તરફથી કબીરપોર જઈ રહેલી કાર સેન્ટ્રલ મોલ નજીક ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું, જ્યારે કારમાં સવાર ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, કાર અતિરફ્તારથી જઈ રહી હતી ત્યારે અચાનક રસ્તા વચ્ચે શ્વાન આવી જતા ડ્રાઇવરે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ તે દરમિયાન કારનો કાબૂ ગુમાવી દેવાતા વાહન સીધું જ ડિવાઇડર સાથે અથડાયું. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચૂરચૂર થઈ ગયો હતો.
ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. મોડી રાત્રે બનેલા આ દુર્ઘટના બાદ વિસ્તારના લોકોમાં શોક છવાઈ ગયો છે.