Gujarat

જમીન વ્યવહારો થશે ઝડપી: સરકારનો 135-D નોટિસમાં મોટો ફેરફાર, 7 દિવસમાં જ નોંધ થશે પ્રમાણિત.

Published

on

  • મહેસૂલી ક્રાંતિ: જમીન ખરીદ-વેચાણની પ્રક્રિયા થશે સુપરફાસ્ટ; રાજ્ય સરકાર જમીન મહેસૂલ કાયદામાં લાવશે મોટો સુધારો.
  • 135-D માં ફેરફાર: અગાઉ જે નોટિસ પિરિયડ 30 દિવસનો હતો, તે ઘટાડીને હવે માત્ર 7 દિવસ કરી દેવાયો.
  • ખોટા વાંધા પર બ્રેક: જમીનના રેકોર્ડ એક વર્ષથી ઓછા સમયના હશે તો હવે લાંબી પ્રક્રિયામાંથી મળશે મુક્તિ; ભ્રષ્ટાચાર પર લાગશે લગામ.
  • ઇઝ ઓફ લિવિંગ: પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીની જાહેરાત; વટહુકમ દ્વારા સામાન્ય જનતાને દસ્તાવેજી પ્રક્રિયામાં મોટી રાહત.

ગાંધીનગર: ગુજરાતમાં જમીન ખરીદ-વેચાણ અને દસ્તાવેજી પ્રક્રિયામાં વર્ષોથી ચાલી આવતી જટિલતાઓને દૂર કરવા માટે રાજ્ય સરકારે એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે. જમીન મહેસૂલ કાયદા હેઠળ 135-Dની નોટિસ બજવણીના જે નિયમો હતા, તેમાં સરકારે ધરખમ ફેરફાર કરવાની જાહેરાત કરી છે. આ ફેરફાર માટે સરકાર ટૂંક સમયમાં વટહુકમ (Ordinance) બહાર પાડશે.

🧐શું હતો જૂનો નિયમ અને શું છે મુશ્કેલી?

અત્યાર સુધી ‘ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, 1879’ ની કલમ 135-D મુજબ, જ્યારે પણ જમીનના 7/12 ના ઉતારામાં કોઈ નવી નોંધ પાડવામાં આવે, ત્યારે હિત ધરાવતા તમામ પક્ષકારોને નોટિસ આપવી ફરજિયાત હતી. આ પ્રક્રિયામાં 30 દિવસનો સમય આપવામાં આવતો હતો. જોકે, ઘણા કિસ્સાઓમાં લોકો ખોટા વાંધા રજૂ કરીને અથવા જૂની અદાવતો કાઢીને આ પ્રક્રિયાને વર્ષો સુધી લંબાવતા હતા, જેના કારણે ખરીદનાર અને વેચાણનાર બંને હેરાન થતા હતા.

📝નવા સુધારાથી શું ફાયદો થશે?

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ધારાસભ્યો અને વિવિધ સંસ્થાઓની રજૂઆતો બાદ આ નિર્ણય લેવાયો છે. નવા નિયમ મુજબ, જો જમીનનો રેકોર્ડ એક વર્ષ કે તેથી ઓછા સમયનો હોય, તો નોટિસનો પિરિયડ 30 દિવસથી ઘટાડીને માત્ર 7 દિવસ કરી દેવામાં આવ્યો છે. આનાથી જમીન સંબંધી વહીવટમાં પારદર્શિતા આવશે અને ‘ઈઝ ઓફ લિવિંગ’ માં વધારો થશે.

🫵ભ્રષ્ટાચાર અને વિલંબ પર લગામ:

નોંધનીય છે કે, 135-Dની નોટિસમાં અગાઉ વીડિયોગ્રાફી જેવી પ્રક્રિયાઓ હોવા છતાં લોકો ભારે હાલાકી ભોગવતા હતા. હવે પ્રક્રિયા ઝડપી બનતા વચેટીયાઓ અને ખોટા વાંધા ઉઠાવનારા તત્વો પર બ્રેક વાગશે. આ સુધારાથી ખેડૂતો અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે.

☝️સરકારના આ એક વટહુકમથી જમીનના વિવાદો ઘટશે અને સામાન્ય માણસને કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.

Trending

Exit mobile version