કેનેડા/આણંદ: કેનેડાના સેન્ટ કેથરાઇન્સ ખાતે આણંદના બોરસદની વતની વિધિ મેઘાનીની હત્યાના કેસમાં તપાસ તેજ બની છે. આ ઘટનાક્રમમાં પોલીસ દ્વારા નવા ખુલાસા કરવામાં આવ્યા છે, જે મુજબ હત્યાના બનાવ પહેલા મૃતક વિધિ અને હત્યારા વચ્ચે ઝપાઝપી થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
📌ઘટનાની વિગતો:
15 મેના રોજ બપોરે 4:15 કલાકે પોલીસને લેકશોર રોડ અને લેક સ્ટ્રીટ નજીકના એક મકાનમાંથી વિધિ મેઘાનીનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં વિધિના માથાના ભાગે ઈજાના નિશાન અને હાથની નસ કપાયેલી જોવા મળી હતી, જે તેની ઘાતકી હત્યા થઈ હોવાની પુષ્ટિ કરે છે.
🚨આરોપીની ધરપકડ:
ઘટનાસ્થળેથી જ પોલીસને એક ઈજાગ્રસ્ત પુરુષ મળી આવ્યો હતો, જેની ઓળખ 40 વર્ષીય જોશુઆ સેન્ટ ઓમર તરીકે થઈ છે. પોલીસે હત્યાના આ કેસમાં તેને મુખ્ય આરોપી ગણી તેની ધરપકડ કરી લીધી છે અને તેની સામે સેકન્ડ-ડિગ્રી મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે જેથી હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાય.
👉વિધિ મેઘાનીના પરિવાર અને મિત્રવર્તુળમાં આ ઘટનાને લઈને ભારે આઘાત જોવા મળી રહ્યો છે. કેનેડા પોલીસ આ સમગ્ર મામલાને શંકાસ્પદ હત્યા તરીકે ગણી તપાસ કરી રહી છે, ત્યારે હવે આરોપીની પૂછપરછમાં કયા નવા રહસ્યો બહાર આવે છે તે જોવું રહ્યું.