Editor's Exclusive

જીલ્લા ભાજપ પાસે સક્રિય કાર્યકરો ખૂટી પડ્યા!, મોબાઈલ નંબરનો છેલ્લો અંક બદલીને એક વ્યક્તિને બે હોદ્દા અપાયા

Published

on

  • હજી તો ગઈકાલે જ સાવલી-ડેસરની પરિચય બેઠકમાં પ્રભારી ડો. ઋત્વિજ પટેલે કાર્યકરોની ઓછી હાજરીની નોંધ લઈને કડક સૂચનાઓ આપી હતી
  • કેટલાક ખાસ સમૂહના કામ કરતા કાર્યકરોને જાણીને ટીમ માંથી બાકાત રાખવાના ધમપછાડા?,સંગઠનના લીડરની પક્ષપાતી તરકીબોથી કાર્યકરો નારાજ!

(મૌલિક પટેલ-એડિટર) વડોદરા જીલ્લા ભાજપમાં કાર્યકરો ખૂટી પડ્યા હોય તેવો કિસ્સો સપાટી પર આવ્યો છે. એક પરિવાર એક હોદ્દો અને એક વ્યક્તિ એક હોદ્દાની વાત અભરાઈએ ચઢાવી દઈને જીલ્લા ભાજપમાં એક વ્યક્તિને અનેક હોદ્દાથી સન્માનિત કરવામાં આવી રહ્યા હોય તેવો કિસ્સો ગત રોજ જાહેર થયેલા મોરચાઓની યાદીમાં જોવા મળ્યો છે. જ્યાં એક ચોક્કસ વ્યક્તિને એક સાથે બે મોરચામાં જવાબદારી આપવામાં આવી છે. એટલું જ નહિ જ્યાં બક્ષીપંચ મોરચામાં 146 જ્ઞાતિઓ જીલ્લામાં વસવાટ કરતી હોય ત્યાં, ફક્ત એક ચોક્કસ જ્ઞાતિના અનેક વ્યક્તિઓને મોરચામાં સમાવેશ કરી લેતા વધુ વિવાદ ઉભો થયો છે.

જ્યારે બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને જીલ્લા અધ્યક્ષ પાસે સત્તા હોવા છતાંય OBCને પક્ષમાં વ્યાપક સ્થાન મળે તેવું વિચારવાને બદલે એક જ જ્ઞાતિના અનેકને સમાવેશ કરીને વિવાદનો મધપૂડો છેડવામાં આવ્યો છે. એટલું જ નહિ જીલ્લાના કાર્યકરોમાં એવો પણ ગણગણાટ છે કે, કેટલાક તો શક્રિય સભ્ય પણ ન હોય તેમને હોદ્દાઓ પધરાવી દેવામાં આવ્યા છે.

વડોદરા જીલ્લા ભાજપ અધ્યક્ષ ડો. બી.જે બ્રહ્મભટ્ટ દ્વારા ગત રોજ વિવિધ મોરચાઓના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં બક્ષીપંચ મોરચો, કિસાન મોરચો, લઘુમતી મોરચો,અનુસુચિત જાતિ મોરચો, અનુસુચિત જનજાતિ મોરચો, યુવા મોરચો તેમજ જીલ્લા કારોબારી અને વિશેષ આમંત્રિત સભ્યોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં બક્ષીપંચ મોરચો અને યુવા મોરચામાં થયેલી નિયુક્તિમાં પ્રથમ દ્રષ્ટીએ વિવાદ સામે આવ્યો છે. જેમાં જીલ્લા ભાજપ પાસે કાર્યકર્તાની અછત હોય તેમ એક વ્યક્તિને બે મોરચામાં હોદ્દાઓ પધરાવી દેવામાં આવ્યા હોવાનું યાદીમાં સ્પષ્ટ જણાઈ આવે છે.

🧐એક જ વ્યક્તિને બક્ષીપંચ મોરચા અને યુવા મોરચામાં સ્થાન મળ્યું

જીલ્લા ભાજપ અધ્યક્ષની સહી સાથેની પ્રસિદ્ધ થયેલી યાદીમાં બક્ષીપંચ મોરચામાં આઈ.ટી કન્વીનરમાં વાઘોડિયાના જે જયેશભાઈ શંકરભાઈ રબારીને સ્થાન આપવામાં આવ્યું છે. તેજ જયેશભાઈ શંકરભાઈ રબારીને યુવા મોરચાના કારોબારી સભ્યની યાદીમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. એક વ્યક્તિ એક હોદ્દોની વ્યાખ્યાઓ જાણે કાગળ પર પણ ન હોય તેમ એક જ વ્યક્તિને એકજ સમયે એક સાથે બે મોરચામાં સ્થાન મળી ગયું છે. અને આ સ્થાન મેળવનાર વ્યક્તિ કે પછી હોદ્દો નક્કી કરનાર વ્યક્તિએ બંને યાદીમાં લખેલા મોબાઈલ નંબરમાં છેલ્લા અંકમાં સામાન્ય ફેરબદલ કરીને બંને વ્યક્તિ અલગ અલગ હોય તેવું ચિત્ર રજુ કરવાનો નિમ્ન પ્રયાસ કર્યો હોય તેમ દેખાઈ આવે છે.

શું જીલ્લા ભાજપ પાસે કાર્યકરોની અછત સર્જાઈ છે? એટલે એક વ્યક્તિને ચતુરાઈ પૂર્વક બે મોરચામાં સ્થાન આપવું પડે છે? કે પછી જીલ્લા ભાજપ કાર્યાલયમાં પાર્ટ ટાઈમ પ્રમુખને અંધારામાં રાખીને સાળા-બનેવીની હોદ્દેદારોની એક જોડી દ્વારા એક નિયત સમુહને ગમ્મે તે ભોગે બાકાત કરવાની રાજરમત રમી રહ્યા છે. આ એક વ્યક્તિને બે હોદ્દા આપ્યાના કિસ્સામાં વાઘોડિયા તાલુકામાં ભારે નારાજગી ફેલાઈ છે. એક તરફ સીમાંકનમાં કરેલા ફેરબદલથી એક ખાસ વર્ગને ભાજપના સક્રિય રાજકારણથી દુર રાખવાના પ્રયત્ન અને બીજી તરફ જ્યાં અન્ય કોઈ વ્યક્તિને સમાવી શકે તેવી સ્થિતિમાં એક જ વ્યક્તિને બે મોરચામાં સમાવેશ કરવાની ચાલ,એ આવનારા સમયમાં વધુ નારાજગી ઉભી કરે તો નવાઈ નહિ!

🗣️બક્ષીપંચ મોરચામાં એક ખાસ જ્ઞાતિનું સૌથી વધુ પ્રભુત્વ!

બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ પડે દેવજીભાઈ પાટણવાડિયાની નિયુક્તિથી જ વિવાદ શરુ થયો હતો. દેવજીભાઈ ઉર્ફે દેવાભાઈ પાસે હાલ તાલુકા ATVT ગ્રાન્ટની સમિતિમાં પણ હોદ્દો છે. આ સાથે તેમના જ પરિવારમાં તાલુકા ભાજપ સંગઠનમાં પણ એક હોદ્દો છે. એટલે એક પરિવારમાં ત્રણ હોદ્દાઓ તો આજે પણ કાર્યરત છે. ત્યારે જીલ્લામાં બક્ષીપંચ મોરચાની ટીમ ગતરોજ જાહેર થયા બાદ વધુ એક મધપુડો છેડાયો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પોતે OBC સમુદાય માંથી આવે છે.

જીલ્લા ભાજપના અધ્યક્ષ ડો. બ્રહ્મભટ્ટ પણ OBC ચહેરો છે. તેમ છતાંય બક્ષીપંચ મોરચામાં જ્યાં જ્ઞાતિ આધારિત નવા ચહેરાઓ સામે આવી શકે તેમ હોવા છતાંય એક ખાસ જ્ઞાતિને વધુ પડતું સ્થાન મળ્યું છે. ઉપપ્રમુખ, મંત્રી,કોષાધ્યક્ષ અને મીડિયા એમ ચાર મહત્વના સ્થાન પર ઠાકોર-પાટણવાડીયા જ્ઞાતિ માંથી સ્થાન મળ્યું છે. જયારે બક્ષીપંચના કારોબારી સભ્યોમાં પણ 3 ઠાકોર-પાટણવાડીયા જ્ઞાતિના સભ્યોને સ્થાન મળ્યું છે. 146 જ્ઞાતિ ધરાવતા OBC વર્ગમાં વ્યાપક રીતે અનેક જ્ઞાતિના નવા કાર્યકરોને સ્થાન આપી શકાય તેમ હોવા છતાંય જાણે બક્ષીપંચ સમુદાયમાં આગળ વધવાના અવસરનો કળશ એક તરફ જ નમી પડ્યો હોય તેમ જણાઈ આવે છે.

મહત્વનું છે કે, વડોદરા જીલ્લા ભાજપમાં હાલ “પાર્ટ ટાઈમ” અધ્યક્ષ અને સાડા-બનેવીની જોડીના પરિવારવાદનું સામ્રાજ્ય ચર્ચામાં છે. વ્યવસાયે તબીબ એવા જીલ્લા ભાજપ અધ્યક્ષ પોતાના કલીનીક સમય બાદ જ બાકી બચતા સમયમાં જીલ્લા ભાજપ અધ્યક્ષની જવાબદારી નિભાવતા હોવાની જીલ્લા ભાજપમાં ચર્ચા છે. જેમ કલીનીકનો સમય નક્કી હોય તેમ જીલ્લા ભાજપ અધ્યક્ષનો સમય બપોરે 2 થી 5નો નક્કી થયો છે! એના સિવાયના સમયમાં એક સાળા-બનેવીની જોડીએ કાર્યાલય પર કબજો કરી લીધો હોય તેવી સ્થિતિ છે.

રાજકીય પક્ષનું કાર્યાલય કાયમ માટે ધમધતું રહે તે કાર્યાલયનો સ્વભાવ છે. ઉત્સાહી કાર્યકરો જે સવારથી કાર્યાલય આવીને કોઈ પણ કામ સોપાય તેવી લાલસામાં બેઠા હોય તો આ સાડા –બનેવીની જોડીને તે પસંદ પડતું નથી. કાર્યાલય પર કામ સિવાય બેસવું નહિ, અને કામ વગર બેસી રહે તો તેને અપમાનિત કરીને સંભળાવી દેવામાં આવતું હોય તેવા કિસ્સાઓ પાછલા એક મહિનામાં બન્યા છે. જીલ્લા ભાજપને બેઠકમાં હાજરી તો જોઈએ છે. પણ કાર્યકરોનું સન્માન જળવાય તેવું વર્તન થતું નથી. જીલ્લા ભાજપના કાર્યકરો તો જાણે ગુજરાતી કહેવત પ્રમાણે “બકરું કાઢતા ઉંટ પેઠું હોય” તેવી સ્થિતિ અનુભવી રહ્યા છે.

Trending

Exit mobile version