- સાવલી પોલીસના નાક નીચે થઇ રહેલા શરાબ કટિંગમાં સ્થાનિક પોલીસની છત્રછાયા છતી થઇ, પોલીસ અધિકારીઓની બદલી કરાઈ
- બુટલેગર વિશાલ અને વિઠ્ઠલ માળીના ભાદરવા ચોકડીના ગેરકાયદેસર દબાણોને આંચ પણ ન આવી, ગૃહ વિભાગની કાર્યવાહીમાં પક્ષપાત કેમ?
- પ્રામાણિકતા અને નૈતિકતાની વાતો વચ્ચે બુટલેગરોને રક્ષણ આપતા રાજકીય માથા?
થોડા સમાય પહેલા અમદાવદમાં અસામાજિક તત્વોએ જાહેર માર્ગ પર કરેલી મારામારી અને હથિયારોના નગ્ન પ્રદર્શન બાદ ગુન્હેગારો જ્યાં રહેતા હતા તે મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. મકાનો ભાડાંના હતા છતાંય કોઈ રજૂઆત સાંભળ્યા વિના કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે કાયદામાં રહેશો, તો ફાયદામાં રહેશો. નહિ તો કાર્યવાહી થશે. જોકે રાજ્ય સરકાર અને ખાસ કરીને ગૃહ વિભાગની કાર્યવાહીમાં ન્યાયના કાટલાં અલગ અલગ કેમ છે? તે અહી સમજાશે.
વડોદરા જીલ્લાના સાવલી તાલુકામાં સાવલી નગર માંજ પોલીસ મથકથી માત્ર 300 મીટરના અંતરે વિદેશી શરાબનું કટિંગ ચાલતું હતું તે દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડીને 82 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો, અને બે બુટલેગરોની સ્થળ પરથી ધરપકડ કરીને 19 જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. સમગ્ર કાર્યવાહીમાં વડોદરા જીલ્લા પોલીસ સ્તબ્ધ રહી ગઈ હતી. પોલીસ મથકની આટલી નજીક શરાબનું કટિંગ થાય છતાંય સ્થાનિક પોલીસને કોઈ ચોક્કસ બાતમી ન આપે તે વાત ગળે ઉતરે તેમ ન હતી. જે બાદ જીલ્લા પોલીસ વડાએ નિષ્કાળજી દાખવનાર પોલીસ કર્મીઓની તાત્કાલિક બદલીનો હુકમ કરી દીધો, પણ હાલ સુધી ગૃહ મંત્રી હર્ષ સંઘવીની સટીક કાર્યવાહીના દર્શન અહી થયા નહિ !
સાવલી નગરમાં વિઠ્ઠલ માળી, વિશાલ માળી, વીનું માળી જેવા બુટલેગરોને રક્ષણ કોણ પૂરું પાડે છે. તે સૌ કોઈ જાણે છે. ભાઈ કહો કે ભાઈબંધ, બુટલેગર પરિવારને રક્ષણ આપ્યું હોય એટલે તેમનો વાળ પણ વાંકો થવા ન દેવાય! અને થયું પણ એવું જ, પ્રમાણિકતા અને નૈતિકતાની વાતો વચ્ચે રાજકીય પોષિત બુટલેગરોના ગેરકાયદેસર બાંધકામો પર કોઈ કાર્યવાહી કરવામાં ન આવી, લાંબા સમયથી બુટલેગર દ્વારા ભાદરવા ચોકડી પાસે સરકારી જગ્યા પર દુકાનો બાંધી દેવામાં આવી છે. આ દબાણો અંગે ભૂતકાળમાં પણ ઘણી ચર્ચા નગરમાં થઇ હતી. પણ આજે તો અવસર આવ્યો છે, દબાણો દુર કરવાનું કારણ પણ છે. આટલા મોટા પ્રમાણમાં શરાબનો જત્થો સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પકડવામાં આવે એટલે આવા બેફામ બુટલેગરના સામ્રાજ્ય પર કાર્યવાહી થવી એ સ્વાભાવિક છે. તેમ છતાંય સાવલી માટે આ ન્યાયના કાટલાં અલગ છે.
“ચોર મારો માણસ હોય તો તે ચોર નથી, સમાજસેવક છે! “ આ સૂત્ર પર ચાલતું રાજકારણ શું પોલીસ અને તંત્રને બુટલેગરોના ગેરકાયદેસર બાંધકામ તોડતા કે પછી ગુન્હો કરીને વસાવેલી અપ્રમાણસર મિલકત જપ્ત કરતા રોકી રહ્યું છે? થોડા દિવસોથી રાજ્યના ગૃહમંત્રી વિદેશ પ્રવાસ પર હતા, હવે તેઓએ કાર્યભાર સંભાળ્યો છે. શું સાવલીના અસમાજિક તત્વો સામે ગુજ્સીટોક જેવી અસરકાર કાર્યવાહી થશે? તેઓની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફરશે? ગુનાહિત પ્રવૃતિઓથી વસાવેલી અપ્રમાણસર મિલકતો જપ્ત થશે?