Waghodia

વાઘોડિયા GIDC: આસ્થાના ધામમાં તસ્કારોનો ત્રાટકા, અંબે માતાના મંદિરમાંથી રૂ. 6.20 લાખના દાગીનાની ચોરી

Published

on

કળિયુગમાં હવે ભક્તિના ધામ પણ સુરક્ષિત રહ્યા નથી. વડોદરાના વાઘોડિયા GIDC વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ અંબે માતાના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. માતાજીના કિંમતી સોના-ચાંદીના આભૂષણો સહિત અંદાજે રૂ. 6.20 લાખની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

🧐રવિવારની રજાનો લાભ લઈ તસ્કરોનો હાથફેરો

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત **22 ફેબ્રુઆરી (રવિવાર)**ના રોજ GIDCમાં કંપનીઓ અને મંદિરમાં રજા હોવાથી કોઈ હાજર ન હતું. સૂમસામ વાતાવરણનો લાભ ઉઠાવી તસ્કરોએ મોડી રાત્રે મંદિરના મુખ્ય દરવાજાના બે તાળા તોડી ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો.

માતાજીના શણગાર પર તસ્કારોની નજર

​તસ્કરોએ ગર્ભગૃહમાં સ્થાપિત અંબે માતાની મૂર્તિ પરથી કિંમતી આભૂષણોની સફાયા કર્યો હતો, જેમાં નીચે મુજબની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે:

  • 6 કિલો ચાંદીના આભૂષણો: ચાંદીનું છત્ર, ત્રિશુલ, ચરણ પાદુકા, આરતી સ્ટેન્ડ, કળશ અને સિંહાસન સાથેની નાની મૂર્તિ.
  • સોનાના દાગીના: માતાજીના ગળામાં રહેલા બે સોનાના મંગળસૂત્ર (કાળા મણકાવાળા). કુલ મળીને અંદાજે રૂ. 6,20,000/- ની મતાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.

📽️CCTV હોવા છતાં સુરક્ષામાં મોટી ખામી

મંદિર પરિસરમાં સુરક્ષા માટે 3 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. જોકે, ચોંકાવનારી વિગત એ છે કે કંપનીની લાઈટ બંધ થતાની સાથે જ આ કેમેરા પણ ઓટોમેટિક બંધ થઈ જતા હતા. તસ્કરો આ ખામીથી વાકેફ હોય તેમ અંધારાનો લાભ લઈને ચોરીને અંજામ આપ્યો છે.

👉ભક્તોમાં રોષ અને પોલીસ તપાસ

આ ઘટના અંગે વ્રજદર્શન સોસાયટીમાં રહેતા મંદિરના ટ્રસ્ટી આનંદકુમાર શર્માએ વાઘોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલમાં આસપાસના વિસ્તારના અન્ય CCTV ફૂટેજ અને ટેકનિકલ પુરાવાઓના આધારે પોલીસે તસ્કરોનું પગેરું દબાવવાની તજવીજ હાથ ધરી છે.

Trending

Exit mobile version