વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો વચ્ચે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. વડોદરાના મકરપુરા વિસ્તારમાં જીવતા મોતના થાંભલાએ સ્થાનિકોની ઊંઘ હરામ કરી દીધી છે.
વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલા પ્રખ્યાત સાંઈબાબા મંદિરથી GIDC તરફ જતા મુખ્ય માર્ગ પર એક વીજ થાંભલો અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. તસવીરોમાં જોઈ શકાય છે કે આ થાંભલો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. જો આ થાંભલો પડે, તો તેની ઉપરથી પસાર થતા હાઈ-વોલ્ટેજ જીવંત વાયરો પણ નીચે આવે, જેનાથી મોટી જાનહાની થવાની પૂરેપૂરી શક્યતા છે.
🧐સ્થાનિકોનો રોષ અને ગંભીર આક્ષેપો:
આ બાબતે સ્થાનિક નાગરિક અક્ષય સિંહ જાદવે તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ:
આ એક વ્યસ્ત માર્ગ છે જ્યાં સતત લોકોની અવરજવર રહે છે.
જો કોઈ વાહનનો સામાન્ય ધક્કો પણ આ થાંભલાને લાગે, તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
રોડ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે, છતાં તંત્રને આ ભયજનક થાંભલો કેમ દેખાતો નથી?
🚧રોડનું ખોદકામ અને જર્જરિત ગટરો
માત્ર વીજ થાંભલો જ નહીં, પણ અહીં ચાલી રહેલી રોડની કામગીરીમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. 1985 ના વર્ષથી બનેલી જૂની ગટરો પર ભારે મશીનરી ફેરવવામાં આવતા ગટરોને નુકસાન થઈ રહ્યું છે. આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરો બદલીને માત્ર ‘મલાઈ’ ખાવામાં આવી રહી છે અને જનતાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે.
🫵શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? શું MGVCL અને કોર્પોરેશન જાગશે કે પછી જનતાના જીવ જોખમમાં મૂકાતા રહેશે? તે હવે જોવાનું રહ્યું.