Vadodara

વડોદરા: ગાજરાવાડી પાણીની ટાંકી પાસે મુખ્ય ફીડર લાઇન ફાટી; હજારો લીટર પાણી વેડફાયું, સમગ્ર રોડ જળબંબોળ

Published

on

  • જળબંબોળની સ્થિતિ: ગાજરાવાડી પાણીની ટાંકી પાસે મુખ્ય લાઇન લીક થતાં જોતજોતામાં સમગ્ર રોડ નદીમાં ફેરવાયો, હજારો લીટર પાણીનો વેડફાટ.
  • લોકોનો ગંભીર આક્ષેપ: વાડી અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી, ઉપરથી સતત ગંદુ-દુર્ગંધયુક્ત પાણી આવતા રોગચાળાનો ભય.
  • કરોડોનો ધુમાડો, પરિણામ શૂન્ય: વારંવાર થતા લીકેજના થીગડાં મારવાના નામે પ્રજાના ટેક્સના પૈસે માત્ર કોન્ટ્રાક્ટરોની તિજોરીઓ ભરાતી હોવાનો સ્થાનિકોનો કટાક્ષ.
  • ઉગ્ર માંગ: લાઇનનું તાત્કાલિક કાયમી સમારકામ કરી, દૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા પાલિકા તંત્ર સમક્ષ રહીશોનો આક્રોશ.

વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે વડોદરાના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની લાઈનોમાં ભંગાણ અને ગંદા પાણીની સમસ્યા વકરી રહી છે. વડોદરાના ગાજરાવાડી પાણીની ટાંકી નજીકથી પસાર થતી પાણીની મુખ્ય ફીડર લાઇન અચાનક મોટી ક્ષતિ સાથે ફાટતા હજારો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થયો હતો. લાઇન ફાટવાના કારણે રસ્તા પર પાણીના ઊંચા-ઊંચા ફુવારા ઉડ્યા હતા અને જોતજોતામાં સમગ્ર રોડ પાણી-પાણી થઈ ગયો હતો, જેને પગલે વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

🧐ગંદા અને લો-પ્રેશર પાણીથી જનતા પરેશાન:

બીજી તરફ, આ ઘટનાને પગલે સ્થાનિક લોકાનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. રહીશોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વાડી અને તેની આસપાસના વિસ્તારોમાં જનતાને લાંબા સમયથી પૂરતા પ્રેશરથી પીવાનું પાણી મળતું જ નથી. એક તરફ લોકોને ઓછા પ્રેશરથી પાણી મળી રહ્યું છે, તો બીજી તરફ તેની સાથે જ સતત ગંદુ અને અતિશય દુર્ગંધયુક્ત પાણી આવવાની ફરિયાદો વડોદરા મહાનગરપાલિકામાં વારંવાર કરવામાં આવી છે. પ્રજાના આરોગ્ય સાથે થતા આ ચેડાં અંગે તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં, આજદિન સુધી આ ગંભીર સમસ્યાનું કોઈ કાયમી નિવારણ લાવવામાં આવ્યું નથી.

🗣️પ્રજાના પૈસે કોન્ટ્રાક્ટરોની તિજોરીઓ ભરાય છે?

સ્થાનિક નાગરિકોમાં એ વાતને લઈને ભારે અસંતોષ છે કે, વડોદરામાં પાણીની લાઈનોમાં વારંવાર થતા આ લીકેજના સમારકામ પાછળ પ્રજાના વેરાના કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. દર વખતે તંત્ર દ્વારા માત્ર વચગાળાના થીગડાં મારીને સંતોષ માની લેવાય છે, પરંતુ પરિણામ શૂન્ય આવે છે. રહીશોએ સીધો આક્ષેપ લગાવ્યો છે કે પ્રજાના પૈસે માત્ર માનીતા કોન્ટ્રાક્ટરોની તિજોરીઓ ભરવાનું સુનિયોજિત કામ ચાલી રહ્યું છે.

❓આજે બનેલી આ ઘટના બાદ, ગાજરાવાડી અને વાડી વિસ્તારના સ્થાનિકોએ વડોદરા મહાનગરપાલિકાના તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે આ લીકેજનું તાત્કાલિક ધોરણે કાયમી ધોરણે મજબૂત સમારકામ કરવામાં આવે, અને વર્ષો જૂની ગંદા પાણીની સમસ્યાનો હંમેશા માટે ઉકેલ લાવી નાગરિકોને શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી પૂરું પાડવામાં આવે.

Trending

Exit mobile version