વડોદરા: વડોદરા શહેરને ટ્રાફિક મુક્ત અને સુવ્યવસ્થિત બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા શરૂ કરાયેલા “વન ડે વન રોડ” અભિયાન અંતર્ગત આજે વોર્ડ નંબર 17માં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યુપિટર ચાર રસ્તાથી સુસેન સર્કલ સુધીના મુખ્ય માર્ગ પરથી લારી-ગલ્લા અને દુકાનોના ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા હતા. જોકે, આ કામગીરી વિવાદો અને આક્ષેપોથી ઘેરાયેલી રહી હતી.
🧐દબાણ હટાવો ઝુંબેશ:
કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ સાથે ટીડીઓની ટીમે આજે સવારથી જ સુસેન રોડ પર ધામા નાખ્યા હતા. માર્ગમાં નડતરરૂપ બનતા શેડ, ઓટલા અને લારીઓને દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનરના સીધા સૂચન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
🗣️વેપારીઓની હૈયા વરાળ:
આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક દુકાનદારો અને હોટલધારકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે, “હાલ બજારમાં ભારે મંદીનો માહોલ છે અને વેપાર પર માઠી અસર પડી રહી છે, તેવા સમયે કોર્પોરેશને કોઈ પણ પૂર્વ નોટિસ આપ્યા વગર સીધી જ તોડફોડ શરૂ કરી દીધી છે.” વેપારીઓએ તંત્રની આ પદ્ધતિને અન્યાયી ગણાવી હતી.
🫵અપૂર્ણ કામગીરીના આક્ષેપ:
બીજી તરફ, કેટલાક સામાજિક કાર્યકર્તાઓએ આ અભિયાનની સફળતા સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમનું કહેવું છે કે દુકાનોની આગળ નડતરરૂપ ઝાડ તેમજ જીબી (GB) ડીપી જેવા મુખ્ય અવરોધો હટાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. આવા અવરોધો દૂર કર્યા વગર માત્ર નાના વેપારીઓને હટાવીને “વન ડે વન રોડ” કામગીરીને પૂર્ણ ગણાવવી તે તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે.
👉હવે જોવાનું એ રહેશે કે કોર્પોરેશન માત્ર દેખાડા ખાતર કામગીરી કરે છે કે પછી રોડ પરના કાયમી અવરોધો દૂર કરીને જનતાને સાચા અર્થમાં સુવિધા આપે છે.