Vadodara

વિશ્વામિત્રી નદી કિનારાના દબાણો દુર કરવા પાલિકાનું લશ્કર પહોંચ્યું

Published

on

  • વિશ્વામિત્રી નદીના દબાણો દુર થવા જોઇએ તેવી લોકમાંગ લાંબા સમયથી ચાલી રહી હતી. પરંતુ કોઇ કાર્યવાહી થતી ન્હતી.

વડોદરા ની વિશ્વામિત્રી નદીમાં ઐતિહાસીક માનવસર્જિત પૂર આવ્યા બાદ વિશ્વામિત્રી નદી પરના દબાણો દુર કરવાની કાર્યવાહી તેજ કરવામાં આવી હતી. જે અંતર્ગત 13 જેટલા વિવિધ એકમોને નોટીસ પાઠવવામાં આવી હતી. અને દબાણો દુર કરવા માટે જણાવવામાં આવ્યું હતું. નોટીસમાં જણાવેલી સમયમર્યાદા પૂર્ણ થતા હવે પાલિકા દ્વારા દબાણો દુર કરવાની કામગીરી કરવામાં આવી છે. જે અંતર્ગત વિવાદીત અગોરા મોલની દિવાલ અને ક્લબ હાઉસ દુર કરવા માટે પાલિકાનું લશ્કર પહોંચ્યું છે. પોલીસ બંદોબસ્ત મળ્યા બાદ દબાણો દુર કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

વડોદરાની વિશ્વામિત્રી નદીના દબાણો દુર થવા જોઇએ તેવી લોકમાંગ લાંબા સમયથી ચાલી રહી હતી. પરંતુ કોઇ કાર્યવાહી થતી ન્હતી. આખરે તાજેતરમાં વડોદરામાં આવેલા ઐતિહાસિક માનવસર્જિત પૂર બાદ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલુ તંત્ર જાગ્યું હતું. અને અગોલા મોલ સહિત 13 જેટલા એકમોને દબાણ અંગેની નોટીસ પાઠવવામાં આવી હતી. જે પૈકી કેટલાક એકમો દ્વારા તો સ્વૈચ્છીક રીતે દબાણો દુર કરવામાં આવ્યા હતા.

આ દબાણો અંગે જવાબ રજુ કરવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. ત્રણ દિવસ પૂર્ણ થતા આજે પાલિકાનું લશ્કર દબાણો દુર કરવા માટે પહોંચ્યું છે. જેમાં જેસીબી, હાઇવા જેવા મશીનો છે, સાથે જ પાલિકાના અધિકારીઓ અને પોલીસ પણ સ્થળ પર હાજર છે. હાલ જાણવા મળતી માહિતી અનુસાર, પાલિકા દ્વારા વિવાદીત અગોરા મોલની દિવાલ અને ક્લબ હાઉસનું દબાણ દુર કરવા માટે પાલિકાનું લશ્કર પહોંચ્યું છે. અગોરા મોલના સંચાલકો દ્વારા ગેટ પર બાઉન્સર બેસાડી રાખવામાં આવ્યા છે. જેને કારણે મીડિયા ત્યાંથી અંદર જઇ શકતું નથી. આ સાથે નિઝામપુરામાં પણ કાંસ પર ના દબાણો દુર કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

પાલિકા દ્વારા 13 એકમોનો દબાણ અંગેની નોટીસ ફટકારવામાં આવી હતી. આ કાર્યવાહીની લોકો સરાહના કરી રહ્યા છે, સાથે જ લોકોના મનમાં સવાલ છે કે, વડોદરાના ઐતિહાસિક માનવસર્જિત પૂરમાં ડુબાડવા માટે માત્ર આ 13 દબાણો જ જવાબદાર હતા ! હવે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

Trending

Exit mobile version