- આ ક્ષેત્ર ઔદ્યોગિક, શૈક્ષણિક તથા અન્ય દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. ડોમેસ્ટીક ફ્લાઇટની કનેક્ટીવીટી પણ જોડે વધારવામાં આવે – સાંસદ
- વડોદરા એરપોર્ટને ફ્લાઇટની વધારે કનેક્ટિવિટી મળે તે માટે સાંસદના પ્રયાસો
- સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન કરી ભારપૂર્વક રજુઆત
- સાંસદે વડોદરાના સુવર્ણિમ કાળને પરત લાવવા જણાવ્યું
વડોદરા પાસે ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે. પરંતુ આ એરપોર્ટને જોઇએ તેટલી ફ્લાઇટની ફાળવણી કરવામાં આવી નથી. જેને પગલે અવાર નવાર ફ્લાઇટ કનેક્ટિવિટી વધારવા માટેની માંગ સામે આવતી રહે છે. આ મામલે તાજેતરમાં સાંસદ ડો. હેમાંગ જોષીએ સંસદમાં રજુઆત કરી છે. હાલમાં દિલ્હીમાં સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. તે દરમિયાન સાંસદ દ્વારા કનેક્ટિવિટી વધારવાની માંગ મુકી છે, સાથે જ તેમણે કહ્યું કે, વડોદરાના સ્વર્ણિમ કાળને પરત લાવવાનો છે.
સાંસદ ડો. હેમાંગ જોષીએ સંસદમાં સભાપતિને સંબોધતા કહ્યું કે, હું તમારા માધ્યમથી વડોદરાના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટની ફાળવણીના મુદ્દા પર સરકારનું ધ્યાન દોરવા માંગુ છું. વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇન્ટરનેશનલ ફ્લાઇટના સંચાલન માટે સક્ષમ છે. તેને આંતરરાષ્ટ્રીય કક્ષાની માન્યતા પ્રાપ્ત છતાં તેનો સદઉપયોગ કરવામાં નથી આવતો. વડોદરા એરપોર્ટ વડોદરા શહેર-જિલ્લો જ નહીં પરંતુ મધ્ય ગુજરાત તથા ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક મહત્વના કેન્દ્રો આણંદ, ખેડા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને ભરૂચને સેવા પ્રદાન કરે છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, આ ક્ષેત્ર ઔદ્યોગિક, શૈક્ષણિક તથા અન્ય દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. વડોદરા એરપોર્ટ પર ડોમેસ્ટીક ફ્લાઇટની કનેક્ટીવીટી પણ જોડે વધારવામાં આવે, મહારાજા સયાજીરાવ ગાયકવાડના જમાનામાં આ દેશના પહેલા એરપોર્ટ પૈકીનું એક હતું, આપણે વડોદરાના તે સ્વર્ણિમ કાળને પરત લાવવાનો છે.