Savli

રાવપુરા પોલીસ ગુન્હો નોંધે તે પહેલા જવેલર્સ શોપમાં ચોરી કરનાર તસ્કરોને મંજુસર પોલીસે ઝડપી પાડ્યા

Published

on

  • શહેર પોલીસની ફરિયાદ નોંધવામાં નિરસતાના દર્શન થયા
  • મંજુસર પોલીસે 29 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો,જ્યારે રાવપુરા પોલીસે 14 લાખની ચોરીની ફરિયાદ નોંધી

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં એક જ્વેલર્સ શોપમાં ચોરી કરીને પલાયન થયેલા તસ્કરો એક જ દિવસમાં પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે ચાર તસ્કરો પાસેથી સોના ચાંદીના 29 લાખની કિંમતના દાગીના રિકવર કરીને ગણતરીના કલાકો માંજ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં મહારાષ્ટ્ર લોજની સામે ગોલ્ડ પોઇન્ટ નામની જ્વેલર્સ શોપ આવેલી છે. જે જવેલર્સ શોપમાં 22 તારીખની રાતથી 23 તારીખના સાંજના સમય સુધી તસ્કરોએ દુકાનની બારી તોડીને અંદર પ્રવેશી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. ચોરી કરીને તસ્કરો મધ્યરાત્રીએ ધુમાડ ચોકડી પાસે આવેલી દરગાહ નજીક છુપાઈને બેઠા હતા.

વડોદરા જિલ્લાની મંજુસર પોલીસના સ્ટાફને શંકા જતા તેઓને કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા પકડાયેલા શંકાસ્પદ ઈસમોની તપાસ કરતા તેઓ પાસે પોટલામાં સોના ચાંદીના દાગીના મળી આવ્યા હતા. પોલીસે કડકાઈથી પૂછપરછ કરીને દાગીનાની ખરાઈ માટે ખાનગી જ્વેલર્સને પોલીસ મથકે બોલાવીને તમામ દાગીનાઓ સાચા છે કે ખોટા તેની ખરાઈ કરાવી હતી. આ દરમિયાન આશરે 29 લાખની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ ખુલ્યો હતો.

Advertisement

22 તારીખના રાત્રિના સમયે ઝડપાયેલા તસ્કરોએ તે જ રાત્રે શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી ગોલ્ડ પોઈન્ટ જ્વેલર્સ શોપના બારીના સળિયા તોડીને અંદર પ્રવેશીને મોટી ચોરીને અંજામ આપ્યો હતો. જોકે આ ઘટનામાં રાવપુરા પોલીસે 23 સપ્ટેમ્બરના રાતના 10:45 કલાકે જ્વેલર્સ શોપમાં ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધી હતી.

જે પોલીસ મથક વિસ્તારમાં ચોરી થઈ હતી ત્યાં પોલીસ ફરિયાદ નોંધાય તે પહેલા મંજુસર પોલીસે તસ્કરોને 100 ટકા મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. રાવપુરા પોલીસે પ્રાથમિક વિગતોના આધારે 14,08,000 ની ચોરીની ફરિયાદ નોંધી હતી. જ્યારે મંજુસર પોલીસે તસ્કરો પાસેથી 100 ટકા મુદ્દામાલ તરીકે 29,૦7,705 લાખ રૂ.ના સોના ચાંદીના દાગીના રિકવર કર્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં સંજય હસમુખભાઈ રાવળ (રહે. ગળતેશ્વર, ખેડા) કિશન છોટાભાઈ રાવળ(રહે.નવાપુરા આણંદ),દેવાભાઈ કાંતિભાઈ રાવળ (રહે. ઇંટવાળ, ડેસર) તેમજ પ્રદીપ રમેશભાઈ પટેલ (રહે. અમરેશ્વર વાઘોડિયા) ની ધરપકડ કરીને વધુ તપાસ માટે આરોપીઓને રાવપુરા પોલીસને હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Trending

Exit mobile version