વડોદરામાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા પત્રકાર પર જીવલેણ હુમલો.
- ત્રણ અજાણ્યા શખ્સોએ પાછળથી ધસી આવી મુજમહુડા વિસ્તારમાં માર માર્યો.
- જૂના સમાચારની અદાવતમાં હુમલો કરાયો હોવાની ફરિયાદીની શંકા.
- જેપી રોડ પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા.
વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતી એક ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રથી વડોદરામાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા ક્રાઈમ રિપોર્ટર પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો છે. પત્રકારત્વના કામની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવી રહ્યું છે.
વિગતો મુજબ, મહારાષ્ટ્રના થાણેમાં ક્રાઈમ રિપોર્ટર તરીકે કાર્યરત વિકાસ રામચંદ્ર જગતાપ ગત 6 માર્ચના રોજ વડોદરાના મુજમહુડા, ભૈરવનગર વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. ભોજન લીધા બાદ જ્યારે તેઓ હાથ ધોવા માટે ઉભા હતા, ત્યારે અચાનક ત્રણ અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો.
એક શખ્સે પત્રકારને પાછળથી પકડી રાખ્યા હતા, જ્યારે અન્ય બે શખ્સોએ તેમને માર માર્યો હતો. આ હુમલા પાછળ અગાઉ પ્રકાશિત કરવામાં આવેલા એક સમાચારની અદાવત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
🧐હુમલા પાછળનું કારણ અને શંકા
“ફરિયાદી વિકાસ જગતાપના જણાવ્યા અનુસાર, તેમણે ફેબ્રુઆરી મહિનામાં મુંબ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદ અંગે સમાચાર પ્રકાશિત કર્યા હતા. આ સમાચાર સામાજિક બહિષ્કાર પ્રતિબંધ અધિનિયમ હેઠળ નોંધાયેલા ગુના અંગેના હતા. સમાચાર પ્રસિદ્ધ થયા બાદ તેમને સતત ધમકીઓ મળી રહી હતી.
ફરિયાદમાં મહારાષ્ટ્રના જ શુભમ ઉર્ફે રાવણ અગીનાથ સિંધે દ્વારા આ હુમલો કરાવવામાં આવ્યો હોવાની શંકા સેવવામાં આવી છે. આ સાથે જ ખંડણી વસૂલવાનો પ્રયાસ કરાયો હોવાનો પણ ગંભીર આક્ષેપ પત્રકારે કર્યો છે.”
હાલમાં જેપી રોડ પોલીસે આ મામલે રાયોટિંગ અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. વડોદરા પોલીસ હવે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે હુમલાખોરોને પકડવા માટે તપાસ તેજ કરી રહી.