- બે દિવસમાં પાણી છોડાતું બંધ નહીં કરાય તો દંડનીય કાર્યવાહી કરાશે,નોટિસ આપી
- બિલ્ડીંગને અપાયેલા પાર્શલી બિયુ રદ કરવાની અગાઉ પાલિકાની સામાન્ય સભામાં રજૂઆત થઈ હતી
શહેરના કારેલીબાગમાં એલએન્ડટી સર્કલ નજીક આવેલ અર્થ યુફોરિયા બિલ્ડિંગ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. નિર્માણાધીન પ્રોજેક્ટ તરફથી વરસાદી ગટરમાં માટી મિશ્રિત પાણી છોડવામાં આવતું હોવાનું પાલિકાની ઉત્તર ઝોનની ટીમને સ્થળ નિરીક્ષણ દરમિયાન મળી છે.
ઉલ્લેખનીય છે કે, શહેરભરમાં હાલ પ્રીમોન્સુન કામગીરી ચાલી રહી છે અને ઠેર ઠેર ગટરો સાફ સફાઈ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. તેવામાં આ પ્રકારે વરસાદી ગટરમાં માટી મિશ્રિત પાણી છોડતા અર્થ યુફોરિયા બિલ્ડિંગ વિવાદમાં આવી છે. અધિકારીઓના દાવા મુજબ, વરસાદ પહેલાથી પાલિકા દ્વારા વરસાદી ગટરની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી.
પરંતુ અર્થ યુફોરિયા બિલ્ડિંગ તરફથી છોડવામાં આવતા માટી મિશ્રિત પાણીના કારણે ગટરમાં સિલ્ટ ભરાઈ જવાની શક્યતા છે, જેને લીધે વરસાદ દરમિયાન પાણી નિકાસમાં મુશ્કેલી ઊભી થવાની શક્યતા છે.
પાલિકાએ આ અંગે અર્થ યુફોરિયા બિલ્ડિંગને સત્તાવાર નોટિસ ફટકારી તાત્કાલિક માટી દૂર કરવાની અને ગટર સાફ કરવા જણાવ્યું છે. તેમજ સ્પષ્ટ જણાવ્યું છે કે, કામગીરી નોટિસ મળ્યાની તારીખથી 2 દિવસની અંદર પૂર્ણ નહીં કરવામાં આવે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
અર્થ યુફોરિયા બિલ્ડિંગ અગાઉ પણ વિવાદોમાં આવ્યું છે. પાલિકાએ અગાઉ ‘પાર્ટ બિયુ’ નામે ઈમારતના ઉપયોગ માટે મંજૂરી આપી હતી. આક્ષેપ છે કે, બિલ્ડિંગમાં રાજકીય જોડાણ ધરાવતા લોકોના હિત હોવાને કારણે પાલિકાએ માત્ર નોટિસ આપીને કામ ચાલાવ્યું છે, જ્યારે સામાન્ય બિલ્ડરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. બિલ્ડીંગનું પાર્સલ બીયુ રદ કરવાની અગાઉ સામાન્ય સભામાં કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી.