લોકશાહીમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો હવે જાનલેવા સાબિત થઈ રહ્યો છે. આણંદના આંકલાવ તાલુકાના અંબાવ ગામમાં એક જાગૃત ખેડૂતે સરપંચ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ શું કરી, સરપંચના પરિવારે કાયદો હાથમાં લઈ પિતા-પુત્રને જીવતા સળગાવવાનો હિચકારો પ્રયાસ કર્યો છે. હાલ બંને પીડિતો વડોદરાની SSG હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
🏥 વડોદરા SSG હોસ્પિટલથી ગ્રાઉન્ડ રિપોર્ટ
આંકલાવના અંબાવ ગામના ભરતભાઈ પઢિયાર અને તેમનો પુત્ર કેવલ પઢિયાર હાલ વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલના બર્ન્સ વોર્ડ (દાઝેલા વિભાગ) માં દાખલ છે. પેટ્રોલ છાંટીને લગાવાયેલી આગમાં બંને ગંભીર રીતે દાઝી ગયા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, બંનેની હાલત નાજુક છે અને તેઓ જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યા છે.
❓ શું હતો સમગ્ર વિવાદ?
અંબાવ ગામના ભરતભાઈ પઢિયારે ગામના મહિલા સરપંચ કોકિલાબેન પઢિયાર સામે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની સત્તાવાર રજૂઆત કરી હતી. “ભ્રષ્ટાચારની અરજી કેમ કરી?” તેનો રોષ રાખીને સરપંચના પતિ અને પુત્રોએ ભરતભાઈને રસ્તામાં આંતરીને પેટ્રોલ છાંટ્યું હતું. પિતાને બચાવવા ગયેલો પુત્ર કેવલ પણ આ આગની લપેટમાં આવી જતા ગંભીર રીતે દાઝી ગયો હતો.
🚨પરિવારમાં ડર અને પોલીસની કાર્યવાહી
આ ઘટના એટલી ભયાનક હતી કે પીડિત પરિવાર અત્યારે ભારે આઘાતમાં છે. હુમલાખોરોના ડરને કારણે પરિવાર અત્યારે કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઈન્કાર કરી રહ્યો છે. બીજી તરફ, આંકલાવ પોલીસે મહિલા સરપંચ સહિત પરિવારના 4 લોકો સામે હત્યાના પ્રયાસ (IPC 307) સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
📍ઘટના ના મુખ્ય મુદ્દા:
પીડિત:ભરત પઢિયાર અને કેવલ પઢિયાર (પિતા-પુત્ર).
આરોપી: સરપંચ કોકિલા પઢિયાર સહિત પરિવારના 4 સભ્યો.
ગામની સ્થિતિ: અંબાવ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, ભારેલા અગ્નિ જેવી સ્થિતિ.
હોસ્પિટલ અપડેટ: બંને પીડિતો SSG હોસ્પિટલના દાઝેલા વિભાગમાં અત્યંત ગંભીર.
🫵આ ઘટનાએ ગ્રામીણ રાજકારણના વરવા ચહેરાને ખુલ્લો પાડ્યો છે. ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારને જો આ રીતે સળગાવી દેવામાં આવશે, તો સામાન્ય માણસ ન્યાયની આશા કોની પાસે રાખશે? હાલ પોલીસ આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.