Vadodara

ન્યાયની પોકાર: વડોદરાના ફતેગંજમાં હજારો આંગણવાડી વર્કરોએ સરકાર સામે બાયો ચઢાવી

Published

on

આંગણવાડી બહેનોનો સરકાર સામે ગર્જના, ₹5,000માં ઘર કેમ ચલાવવું ?,17 માર્ચ સુધીમાં ઉકેલ નહીં આવે તો રાજ્યવ્યાપી હડતાળ અને તાળાબંધીની ચીમકી

  • હાઈકોર્ટના આદેશ મુજબ ₹24,500નું વેતન ધોરણ.
  • નિવૃત્તિ વય મર્યાદા વધારીને 60 વર્ષ કરવી.
  • બાકી નીકળતા ભથ્થાની તાત્કાલિક ચૂકવણી.
  • અટપટી ઓનલાઇન કામગીરીમાંથી મુક્તિ.

વડોદરામાં આજે આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોના રોષનો જ્વાળામુખી ફાટ્યો છે. લાંબા સમયથી પડતર માંગણીઓ અને આર્થિક ખેંચતાણનો સામનો કરી રહેલી હજારો મહિલાઓએ આજે ‘ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન’ (G.A.K.S.) ના નેજા હેઠળ સરકાર સામે રણશિંગુ ફૂંક્યું છે.

વડોદરાના ફતેગંજ સ્થિત વોર્ડ-3 ની વહીવટી કચેરી આજે સૂત્રોચ્ચારથી ગાજી ઉઠી હતી. મોટી સંખ્યામાં એકઠી થયેલી બહેનોએ તંત્રને જગાડવા માટે ઉગ્ર દેખાવો કર્યા હતા. સંગઠનના હોદ્દેદારોનું કહેવું છે કે, નામદાર હાઈકોર્ટે આંગણવાડી વર્કરો માટે ₹24,500 ના વેતન ધોરણનો સ્પષ્ટ આદેશ આપ્યો છે, તેમ છતાં સરકાર આ મામલે ઉદાસીનતા દાખવી રહી છે.

બહેનોનો આરોપ છે કે, પાયાના કામની સાથે સાથે તેમના પર ‘ટેકો’ એપ્લિકેશન જેવી અટપટી ઓનલાઇન કામગીરી થોપી દેવામાં આવી છે. ઇન્ટરનેટનો ખર્ચ અને મોબાઇલની માથાકૂટને કારણે બહેનો માનસિક રીતે થાકી ગઈ છે. એટલું જ નહીં, આંગણવાડી કેન્દ્રો ચલાવવા માટે મળતું ફ્લેક્સી ફંડ અને ગ્રાન્ટ પણ લાંબા સમયથી અટવાયેલી છે, જેના કારણે બાળકોના પોષણ માટે બહેનોએ પોતાના ઘરના પૈસા ખર્ચવા પડે તેવી નોબત આવી છે.

આ આંદોલન હવે વધુ ઉગ્ર બનવા જઈ રહ્યું છે. સંગઠને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો 17 માર્ચ સુધીમાં સરકાર તરફથી કોઈ હકારાત્મક નિર્ણય નહીં લેવાય, તો 18, 19 અને 20 માર્ચ દરમિયાન તમામ આંગણવાડીઓ પર તાળાબંધી કરવામાં આવશે. તમામ વર્કર અને હેલ્પર ‘રજા રિપોર્ટ’ આપીને કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે.

જો આ હડતાળ લંબાશે, તો હજારો ભૂલકાઓના પોષણ અને શિક્ષણ પર માઠી અસર પડશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવું બહેનોએ સ્પષ્ટ કર્યું છે. ફતેગંજથી શરૂ થયેલી આ લડાઈ હવે ગાંધીનગરના ઉંબરા સુધી પહોંચે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

Trending

Exit mobile version