સંસ્કારી નગરી વડોદરામાં કાયદો અને વ્યવસ્થા જાળવનાર ‘ખાખી’ પર હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં પારિવારિક ઝઘડો શાંત કરાવવા પહોંચેલી પોલીસ પર જ કેટલાક તત્વોએ હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં પોલીસકર્મીઓને ઇજા પહોંચતા સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ છે.
ઘટનાની વિગત મુજબ, કારેલીબાગમાં જીવન ભારતી સ્કૂલથી બહુચરાજી મંદિર તરફ જતા માર્ગ પર આવેલા સંતોષી માતાના મંદિર નજીક એક પારિવારિક વિવાદ થયો હતો. આ ઝઘડાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસકર્મીઓ જ્યારે સમજાવટથી મામલો શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે જ ઝઘડામાં સામેલ કેટલાક ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ પર હુમલો કરી દીધો હતો.
હુમલામાં પોલીસકર્મીઓને ઇજા પહોંચી હોવાના સમાચાર મળતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને વધારાનો પોલીસ ફોર્સ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પરિસ્થિતિ ગંભીર બનતી જોઈ પોલીસે કડક વલણ અપનાવ્યું હતું અને હુમલાખોરોને કાબૂમાં લીધા હતા. કારેલીબાગ પોલીસે આ મામલે ગુનો નોંધી હુમલાખોરો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
🧐જાહેર જનતાની સુરક્ષા માટે કામ કરતી પોલીસ પર જ્યારે આવા હુમલા થાય છે, ત્યારે કાયદાના ડર સામે સવાલો ઉઠે છે. કારેલીબાગ પોલીસે હવે આ તમામ આરોપીઓ વિરુદ્ધ દાખલો બેસે તેવી કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે.