વડોદરાને ખાડોદરાનું બીરુદ્દ આપનાર પાલિકાના સત્તાધીશોના પાપે આ વર્ષે ચોમાસામાં ખાડાને કારણે નાગરિકોએ જીવ ગુમાવવાની શરૂઆત કરી દીધી છે. શહેરના સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી વૃંદાવન ચાર રસ્તા તરફ જવાના માર્ગ પર પડેલા ખાડામાં રીક્ષા પલ્ટી ખાઈ જતા રિક્ષાચાલક યુવકનું મોત નીપજ્યું છે. પરિવારમાં એક નો એક કમાનાર મોભી ગુમાવતા પરિવારજનોમાં આંક્રદ છવાઈ ગયો છે.
ચોમાસા પહેલા પ્રિ મોન્સુન કામગીરીના નામે જાહેર રાસ્તા પર ખોદાયેલા ખાડાઓ સમયસર પૂરી દેવાની જવાબદારી પાલિકા તંત્રની છે. ખોદેલા ખાડાઓમાં કોઈનો જીવ ન જાય તેની સંપૂર્ણ તકેદારી પાલિકાએ રાખવાની હોય છે. જોકે પાલિકા તંત્ર પોતાની જવાબદારીઓ પૂરી કરવામાં ખરું ઉતરતું નથી. જેના કારણે નાગરીકોને વેઠવાનો વારો આવે છે.
Advertisement
શહેરના બાપોદ નુર્મના મકાનમાં રહેતા 38 વર્ષીય અનિલભાઈ ઠાકોરભાઈ વસવા રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું પેટ ભરતા હતા. આજે સવારે ૪ વાગ્યાના સુમારે રીક્ષા ચલાવીને તેઓ પોતાના ઘર તરફ જતા હતા તે દરમિયાન સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી વૃંદાવન ચાર રસ્તાના ભાગે રસ્તા કિનારે પાણીની લાઈનના ખોદેલા ખાડામાં રીક્ષા પલ્ટી ખાઈ જતા તેઓ સ્થળ પર ગંભીર રીતે ઘવાયા હતા. તેઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઈ જવાતા હાજર તબીબોએ તેમણે મૃત જાહેર કર્યા હતા. ઘરમાં એકના એક કમાનાર વ્યક્તિએ પાલિકાના ખોદેલા ખાડાના પાપે જીવ ગુમાવતા પરિવારજનોએ પાલિકા તંત્ર વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો હતો.
હાલ તો ચોમાસાની હજી શરૂઆત છે. જ્યાં શહેરની આવી હાલત થઇ છે. નાગીર્કોએ પાલિકાના ખોદેલા ખાડાને કારણે જીવ ગુમાવવો પડે છે. જયારે આવનાર દિવસમાં શહેરની હાલત વધુ બત્તર થાય તો નવાઈ નહિ!