National

જાણો કેમ PM મોદીએ કરી ‘વર્ક ફ્રોમ હોમ’ની અપીલ? પેટ્રોલ-ડીઝલના વપરાશ પર કાપ મૂકવા પાછળનું અસલી સત્ય

Published

on

  • તેલ કંપનીઓ મુશ્કેલીમાં: દરરોજ ₹1,000 કરોડનું નુકસાન વેઠી રહી છે સરકારી તેલ કંપનીઓ; ઉર્જા મંત્રી હરદીપ સિંહ પુરીનો ચોંકાવનારો ખુલાસો.
  • ભારે ખોટનો અંદાજ: ચાલુ ત્રિમાસિક ગાળામાં તેલ કંપનીઓની કુલ ખોટ ₹1,00,000 કરોડ સુધી પહોંચવાની ભીતિ.
  • PMની અપીલનો અર્થ: પેટ્રોલ-ડીઝલ બચાવવા અને સોનું ન ખરીદવા પાછળનું અસલી કારણ આર્થિક દબાણ.
  • મોંઘવારીનું ગણિત: આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ આસમાને, પણ જનતાને રાહત આપવા સરકાર જૂના ભાવે વેચે છે ઈંધણ.

વડોદરા (ડેસ્ક): દેશમાં હાલમાં ચાલી રહેલી આર્થિક હલચલ પાછળ એક ગંભીર સંકટ છુપાયેલું હોવાના સંકેત મળી રહ્યા છે. કેન્દ્રીય ઉર્જા મંત્રી હરદીપ સિંહ પુરીએ દેશની સરકારી તેલ કંપનીઓની આર્થિક સ્થિતિ અંગે રજૂ કરેલા આંકડાઓએ સૌને ચોંકાવી દીધા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને ગેસના વધતા ભાવોને કારણે સરકારી તેલ કંપનીઓ પર દેવાનો અને ખોટનો ડુંગર ખડકાઈ રહ્યો છે.

🧐દૈનિક ₹1,000 કરોડનું નુકસાન:

હરદીપ સિંહ પુરીના જણાવ્યા અનુસાર, સરકાર અત્યારે બેવડી મુસીબતમાં છે. એક તરફ આંતરરાષ્ટ્રીય બજારમાંથી મોંઘા ભાવે કાચું તેલ ખરીદવું પડે છે, જ્યારે બીજી તરફ દેશમાં મોંઘવારી ન વધે તે માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે. આ જ કારણે સરકારી તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડ જેવું તોતિંગ નુકસાન થઈ રહ્યું છે. જો આ જ સ્થિતિ રહી તો આ ત્રિમાસિક ગાળાના અંત સુધીમાં આ ખોટ ₹1 લાખ કરોડના આંકડાને વટાવી શકે છે.

🤨વડાપ્રધાનની રણનીતિ:

આ ગંભીર સ્થિતિને જોતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશવાસીઓને ખાસ અપીલ કરી છે. પીએમ મોદીએ નાગરિકોને પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઘટાડવા, શક્ય હોય ત્યાં ‘વર્ક ફ્રોમ હોમ’ (WFH) અપનાવવા અને સોનાની ખરીદી ટાળવા જણાવ્યું છે. સોનાની આયાત વધવાથી દેશનું વિદેશી હૂંડિયામણ બહાર જાય છે, જે આર્થિક સ્થિતિને વધુ નબળી પાડી શકે છે.

સરકાર અત્યારે જનતાને મોંઘવારીના મારથી બચાવવા માટે કંપનીઓનું નુકસાન સહન કરી રહી છે, પરંતુ સવાલ એ છે કે આ રાહત ક્યાં સુધી ચાલશે? શું આગામી સમયમાં ઈંધણના ભાવમાં મોટો ઉછાળો આવશે કે પછી જનતા પીએમની અપીલ માનીને વપરાશ ઘટાડશે?

Trending

Exit mobile version