International

કાબુલમાં હોસ્પિટલ પર પાકિસ્તાનનો હવાઈ હુમલો: અફઘાનિસ્તાનનો દાવો – 400ના મોત, 250થી વધુ ઘાયલ.

Published

on

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંઘર્ષમાં મોટો ઉછાળો

  • સૈન્ય ઠેકાણાઓ જ નિશાન હતા: પાકિસ્તાને નાગરિકોના મોત અને હોસ્પિટલ પર હુમલાના આરોપો ફગાવ્યા.
  • ક્રિકેટ જગતમાં રોષ: રાશિદ ખાન અને મોહમ્મદ નબીએ હુમલાને ગણાવ્યો ‘વોર ક્રાઈમ’.
  • યુદ્ધના વાદળો: ફેબ્રુઆરીથી શરૂ થયેલો સંઘર્ષ હવે ત્રીજા સપ્તાહમાં, વિસ્તારમાં અસ્થિરતાનો ભય.

એક તરફ ઈરાનમાં યુદ્ધની સ્થિતિ છે, ત્યારે ભારતની પાડોશમાં પણ સ્થિતિ ગંભીર બની રહી છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો સરહદી વિવાદ હવે લોહિયાળ જંગમાં ફેરવાઈ ગયો છે. છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન વારંવાર અફઘાનિસ્તાનની સરહદ ઓળંગી હવાઈ હુમલા કરી રહ્યું છે, જેના કારણે બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.

તાજેતરના અહેવાલો મુજબ, અફઘાનિસ્તાને દાવો કર્યો છે કે પાકિસ્તાની વાયુસેનાએ કાબુલમાં રહેણાંક વિસ્તારો અને એક હોસ્પિટલને નિશાન બનાવી છે. અફઘાન આરોગ્ય વિભાગના પ્રવક્તા શરાફત ઝમાને જણાવ્યું કે, કાબુલમાં નશામુક્તિ કેન્દ્ર તરીકે કાર્યરત હોસ્પિટલ પર થયેલા આ બોમ્બમારો અત્યંત ઘાતક હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં 400 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 250થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.

જોકે, પાકિસ્તાન આ આરોપોને સ્વીકારવા તૈયાર નથી. વડાપ્રધાન શાહબાઝ શરીફના પ્રવક્તા મોશર્રફ ઝૈદીએ આ આરોપોને ‘પાયાવિહોણા’ ગણાવ્યા છે. પાકિસ્તાનનો દાવો છે કે તેઓએ માત્ર ‘આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ અને સૈન્ય ઠેકાણાઓ પર જ ‘પ્રીસીઝન સ્ટ્રાઈક્સ’ કરી છે અને કોઈ પણ સિવિલિયન વિસ્તારને નિશાન બનાવ્યો નથી.

આ હુમલાની અસર રમતજગતમાં પણ જોવા મળી રહી છે. અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ નબીએ ભાવુક પોસ્ટ દ્વારા પોતાની ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, રમઝાનની પવિત્ર રાત્રે માતાઓ પોતાના પુત્રોની રાહ જોતી રહી અને તેમની જિંદગીઓ છીનવાઈ ગઈ. બીજી તરફ, રાશિદ ખાને આ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરતા તેને ‘વોર ક્રાઈમ’ (યુદ્ધ અપરાધ) ગણાવ્યો છે. રાશિદ ખાને કહ્યું કે, હોસ્પિટલ અને શિક્ષણ સંસ્થાઓ પર હુમલા કરવા એ માનવતા વિરુદ્ધનો ગુનો છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સતત આરોપ લગાવે છે કે અફઘાનિસ્તાન તેની ધરતી પરથી પાકિસ્તાન વિરોધી આતંકી સંગઠનોને પ્રોત્સાહન આપે છે, જ્યારે તાલિબાન સરકાર આ વાતનો ઈનકાર કરી રહી છે. ફેબ્રુઆરીના અંતથી શરૂ થયેલો આ સંઘર્ષ હવે ત્રીજા સપ્તાહમાં પ્રવેશી ચૂક્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી શાંતિ જાળવવા અપીલ કરી છે.

Trending

Exit mobile version