Gujarat

મિડલ ઈસ્ટ યુદ્ધની સીધી અસર: ગુજરાતના 5500થી વધુ કન્ટેનરો ખાડીના બંદરો પર અટવાયા, નિકાસકારોને અબજોનું નુકસાન

Published

on

  • નિકાસમાં મોટું સંકટ: યુએઈ અને ઓમાનના પોર્ટ પર ગુજરાતના બટાકા, સી-ફૂડ અને ડેરી પ્રોડક્ટ્સનો કરોડોનો માલ ફસાયો.
  • બગડવાનો ભય: ખોરફક્કન પોર્ટ પર 800 રેફ્રિજરેટેડ કન્ટેનરો માટે ઈલેક્ટ્રિક પ્લગની અછત, માલ સડવાની ભીતિ.
  • ગારમેન્ટ ઉદ્યોગને ફટકો: ઈદના તહેવાર ટાણે જ અમદાવાદ-સુરતના કાપડ વેપારીઓને ₹1500 કરોડનું નુકસાન.
  • કેરીના વ્યવસાય પર જોખમ: જો યુદ્ધ લાંબુ ચાલશે તો કેસર કેરીના નિકાસમાં ₹500 કરોડથી વધુનો ખાડો પડવાની શક્યતા.

વડોદરા/અમદાવાદ: ઇઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની જ્વાળાઓ હવે ગુજરાતના અર્થતંત્રને દઝાડી રહી છે. મિડલ ઈસ્ટમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિને કારણે ગુજરાતના નિકાસકારોની ઊંઘ હરામ થઈ ગઈ છે. યુએઈના ખોરફક્કન અને ઓમાનના સોહાર પોર્ટ પર ગુજરાતના 5500થી વધુ કન્ટેનરો અટવાઈ પડ્યા છે, જેમાં નાશવંત ચીજવસ્તુઓ ભરેલી છે.

🗣️કરોડોનો માલ જોખમમાં:

અટવાયેલા કન્ટેનરોમાં બટાકા, તરબૂચ, શાકભાજી અને ડેરી પ્રોડક્ટ જેવી વસ્તુઓ છે. સૌથી ચિંતાજનક સ્થિતિ ખોરફક્કન પોર્ટ પર છે, જ્યાં 800થી વધુ રેફ્રિજરેટેડ કન્ટેનરો ઉતારવામાં આવ્યા છે પરંતુ ત્યાં પૂરતા ઈલેક્ટ્રિક પ્લગ પોઈન્ટ્સ ઉપલબ્ધ નથી. જો આ કન્ટેનરોને પાવર સપ્લાય નહીં મળે, તો કરોડોની કિંમતનો માલ ગણતરીના દિવસોમાં જ બગડી જશે.

🧐આર્થિક બોજ અને ઉદ્યોગોની હાલત:

જો નિકાસકારો આ કન્ટેનરોને પરત લાવવા માંગે, તો તેમને અંદાજે 275 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ ભોગવવો પડે તેમ છે. બીજી તરફ, ઈદના તહેવાર પર થતી ગારમેન્ટની નિકાસને પણ મોટો ફટકો પડ્યો છે. અમદાવાદ અને સુરતના ગારમેન્ટ ઉદ્યોગને અંદાજે 1500 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

👉ખેડૂતોની ચિંતામાં વધારો:

આગામી સમયમાં કેસર કેરીની સીઝન શરૂ થઈ રહી છે. જો યુદ્ધની સ્થિતિ થાળે નહીં પડે, તો ગુજરાતના કેરી પકવતા ખેડૂતોને 500 કરોડથી વધુનું નુકસાન થઈ શકે છે. આ કપરી પરિસ્થિતિમાં હવે ગુજરાતના નિકાસકારો અને વેપારી મંડળો કેન્દ્ર સરકાર પાસે આર્થિક રાહત પેકેજની માંગ કરી રહ્યા છે જેથી આ મોટા આર્થિક ફટકામાંથી ઉગરી શકાય.

🫵વૈશ્વિક યુદ્ધની અસરો હવે સીધી રીતે ગુજરાતના ખેડૂતો અને નાના વેપારીઓના ખિસ્સા સુધી પહોંચી છે.

Trending

Exit mobile version