તંત્રનું ઠંડું વલણ:વીજ વિભાગની ટીમે વાયરિંગ રિપેરિંગ કર્યું, પણ નુકસાનના વળતર અંગે કર્મચારીઓ મૌન.
લોકોનો સવાલ: “અમારા ઘરના ઉપકરણો બળી ગયા તેનું વળતર કોણ આપશે?”
વડોદરા: ગરમીના પ્રકોપ વચ્ચે વડોદરાના ભાયલી વિસ્તારના રહીશો માટે કુદરતી ગરમી કરતા પણ વીજ વિભાગની બેદરકારી વધુ પીડાદાયક સાબિત થઈ છે. ગઈકાલે અચાનક સર્જાયેલા હાઈ વોલ્ટેજ ફ્લક્ચ્યુએશનને કારણે ભાયલીના સુથાર ફળિયા અને રબારી ફળિયામાં 70 થી 80 ઘરોમાં ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થઈ ગયા છે.
💣ધડાકા સાથે ઉપકરણો ફૂટ્યા:
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ગઈકાલે વીજ પુરવઠો ખોરવાયા બાદ અચાનક હાઈ વોલ્ટેજ આવતા જ ઘરોમાં ચાલુ ટીવી, ફ્રીજ, પાણીના RO, લાઈટો અને પંખા અચાનક જ ધડાકાભેર બળી ગયા હતા. લોકો કંઈ સમજે તે પહેલાં જ લાખો રૂપિયાના ઉપકરણો કામ કરતા બંધ થઈ ગયા હતા. એકસાથે આટલા બધા ઉપકરણો બળી જવાથી મધ્યમવર્ગીય પરિવારો પર આર્થિક સંકટ આવી પડ્યું છે.
🗣️તંત્રની લાપરવાહી અને લોકોનો રોષ:
ફરિયાદ મળતા MGVCL ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને વાયરિંગ રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી, પરંતુ કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયેલો રહ્યો હતો. સ્થાનિક રહીશ નિકુલ પરમારે આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે,“વીજ કંપનીએ લાઈટ ચાલુ કરી આપી અને વાયરિંગ બદલી આપ્યું, પરંતુ અમારા ઘરોમાં જે 4 થી 5 લાખ રૂપિયાનું નુકસાન થયું છે તેનું શું? આ નુકસાનનું વળતર કોણ આપશે?”જ્યારે લોકોએ વળતર અંગે પૂછ્યું ત્યારે વીજ કંપનીના કર્મચારીઓ કોઈ યોગ્ય જવાબ આપી શક્યા નહોતા.
👉[નાગરિકોની વ્યથા]
“અમે ગરમીમાં મુશ્કેલીમાં છીએ અને ઉપરથી વીજ વિભાગની આ બેદરકારી. અમારે લાખોનું નુકસાન વેઠવું પડ્યું છે. જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને અમને વળતર મળવું જોઈએ.” – ભાયલીના સ્થાનિક રહીશો
🧐ભાયલીમાં બનેલી આ ઘટના MGVCL ની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે. માત્ર વાયરિંગ બદલી નાખવાથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને થયેલું લાખોનું નુકસાન ભરપાઈ નહીં થાય. શું વીજ કંપની પોતાની આ ભૂલ સ્વીકારીને ગ્રાહકોને વળતર આપશે કે પછી આ મામલો પણ સરકારી ફાઈલોમાં દબાઈ જશે?