જીવલેણ કામગીરી:છેલ્લા 20 દિવસમાં 4 મગર અને ઈજાના કારણે કાચબાના મોત બાદ પણ તંત્ર નિંદ્રામાં.
વન વિભાગ પર સવાલો:આર.એફ.ઓ.ને જાણ કરવા છતાં સ્થળ પર કોઈ સ્ટાફ ન પહોંચતા ઉઠ્યા સવાલ.
NGTમાં રજૂઆત:પ્રાણીપ્રેમીઓએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સમિતિને લેખિતમાં ફરિયાદ કરી ન્યાયની માંગ કરી.
વડોદરા: વડોદરાની જીવાદોરી સમાન અને મગરોનું નિવાસસ્થાન ગણાતી વિશ્વામિત્રી નદીમાં ફરી એકવાર વિકાસના નામે વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે. નદીમાં ચાલી રહેલી ગેબિયન વોલની કામગીરી દરમિયાન જળચર જીવોની સુરક્ષાને નેવે મૂકવામાં આવતા પ્રાણીપ્રેમીઓએ સામાજિક વનીકરણ વિભાગ અને પાલિકા તંત્ર સામે બાંયો ચઢાવી છે.
🐊🐢જળચર જીવો પર જોખમ:
મંગલ પાંડે બ્રિજ નીચે ગેબિયન વોલ બનાવવા માટે નદીના પેટાળમાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી માટે સીધું JCB મશીન નદીના પાણીમાં ઉતારવામાં આવ્યું છે. પ્રાણીપ્રેમીઓના મતે, આ વિસ્તાર મગર અને દુર્લભ કાચબાઓનું પ્રજનન સ્થળ છે. કોઈ પણ વન વિભાગના નિષ્ણાત કે રેસ્ક્યુઅરની હાજરી વગર આ રીતે મશીનરી ચલાવવાથી જળચર જીવો કચડાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.
🧐ચિંતાજનક આંકડા:
પ્રાણીક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકર રમેશભાઈએ ચોંકાવનારી વિગત આપતા જણાવ્યું કે, છેલ્લા 20 દિવસમાં આ વિસ્તારમાં 4 મગરોના મોત થયા છે. તાજેતરમાં જ ત્રણ મોટા કાચબાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાંથી એક કાચબાનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું છે. આટલા બધા જીવોના મોત છતાં તંત્ર દ્વારા કોઈ સુરક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા નથી.
👉તંત્રની નિષ્ક્રિયતા:
પ્રાણીપ્રેમીઓએ આક્ષેપ કર્યો છે કે તેમણે સામાજિક વનીકરણ વિભાગના આર.એફ.ઓ.ને વારંવાર જાણ કરી હતી, તેમ છતાં સ્થળ પર નિરીક્ષણ માટે કોઈ સ્ટાફ મોકલવામાં આવ્યો નથી. આ મામલે હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) સમિતિ સમક્ષ પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમની માંગ છે કે વન વિભાગ અને મ્યુનિસિપલ તંત્રની સંયુક્ત દેખરેખ હેઠળ જ કામગીરી આગળ વધારવી જોઈએ જેથી અબોલ જીવોનો જીવ બચી શકે.
🫵વિકાસના કામો જરૂરી છે, પરંતુ પ્રકૃતિ અને પર્યાવરણના ભોગે થતો વિકાસ કેટલો યોગ્ય છે તે મોટો પ્રશ્ન છે.