પોલીસી કાર્યવાહી:નંદેસરી પોલીસે ગણતરીના કલાકોમાં કોતરોમાં છુપાયેલા આરોપીને ઝડપી પાડ્યો; ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો દાખલ.
વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનની હદમાં આવતા ધોળાકુવા ગામમાં એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. જેમાં લગ્નના માત્ર ૫૦ દિવસની અંદર જ એક પતિએ પોતાની પત્નીનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી છે. વહેમ અને શારીરિક-માનસિક ત્રાસનો આ કરૂણ અંજામ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી છે.
🧐સમગ્ર મામલો અને રહસ્યમય ફોન:
આણંદના આંકલાવ તાલુકાના ખડોલ ગામમાં રહેતા જયદીપભાઈ સોલંકીની બહેન તેજલના લગ્ન ગત ૧૨ માર્ચે ધોળાકુવા ગામના હર્ષદ ગોહિલ સાથે થયા હતા. ગત ૨ એપ્રિલના રોજ અચાનક હર્ષદ ગોહિલે તેના સાળા જયદીપને ફોન કરીને માત્ર એટલું જ કહ્યું કે, “અમારી લાશો લઈ જજો” અને ફોન સ્વીચ ઓફ કરી દીધો. શંકા જતાં પરિવારે તપાસ કરી તો તેજલ વાસદની હોસ્પિટલમાં મૃત હાલતમાં મળી આવી હતી.
👮પોલીસ તપાસ અને આરોપીની ધરપકડ:
શરૂઆતમાં આ ઘટનાને ગભરામણ કે અકસ્માત દર્શાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે કરાયેલા પેનલ પોસ્ટમોર્ટમમાં સ્પષ્ટ થયું કે તેજલનું મોત ગળું દબાવવાના કારણે થયું છે. આ ઘટસ્ફોટ થતાં જ નંદેસરી પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.ડી. જાડેજા અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી. પોલીસ કમિશનરની સૂચના હેઠળ અલગ-અલગ ટીમો બનાવીને ફાજલપુરના કોતરોમાં છુપાયેલા ૨૦ વર્ષીય આરોપી હર્ષદ ચંદુભાઈ ગોહિલને દબોચી લેવામાં આવ્યો છે.
🚨હત્યાનું કારણ અને આપઘાતનું નાટક:
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હર્ષદ પોતાની પત્ની પર ખોટો વહેમ રાખીને ત્રાસ આપતો હતો. હત્યા કર્યા બાદ આરોપીએ ધાબા પરથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું નાટક પણ કર્યું હતું, જેમાં તેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. હાલમાં પોલીસે BNS ની કલમ ૧૦૩(૧) અને ૮૫ મુજબ ગુનો નોંધી આરોપીની કડક પૂછપરછ શરૂ કરી છે.
👉નવવિવાહિત યુવતીનું લગ્નના થોડા જ દિવસોમાં આ પ્રકારે મોત થતા ખડોલ અને ધોળાકુવા ગામમાં શોક સાથે રોષની લાગણી વ્યાપી છે. વડોદરા પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ હત્યા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે