નેતાઓને શ્રદ્ધાંજલિ:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના દિગ્ગજ નેતાઓએ પુષ્પાંજલિ અર્પણ કરી.
જનમેદનીનો પ્રવાહ:અમદાવાદી પોળથી ખાસવાડી સ્મશાન સુધીના માર્ગ પર હજારો લોકોએ પુષ્પવર્ષા કરી પોતાના લોકપ્રિય નેતાને અંતિમ વિદાય આપી.
ભાવભીનું વાતાવરણ:જનસેવાને જીવનધર્મ બનાવનાર નેતાના અંતિમ દર્શન માટે ઠેર-ઠેર ભીડ; વેપારીઓ અને નાગરિકોએ શોક પાળ્યો.
વડોદરા: વડોદરાના રાવપુરાના ધારાસભ્ય અને જનસેવક યોગેશભાઈ પટેલનું મંગળવારે નિધન થયું હતું. આજે ચોથી જૂને તેમના પાર્થિવ દેહની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં શહેરભરમાંથી હજારો લોકો ઉમટી પડ્યા હતા અને પોતાના પ્રિય નેતાને ભારે હૈયે વિદાય આપી હતી.
🙏અંતિમ દર્શન અને શ્રદ્ધાંજલિ:
ધારાસભ્યના પાર્થિવ દેહને અમદાવાદી પોળ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. આ સમયે શોકગ્રસ્ત પરિવારને સાંત્વના આપવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત અનેક રાજકીય, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓએ પાર્થિવ દેહના દર્શન કરી શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા.
👉અંતિમયાત્રાનું રૂટ:
અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી શરૂ થઈને રાવપુરા ચાર રસ્તા, કોઠી ચાર રસ્તા અને સયાજી હોસ્પિટલના માર્ગે થઈને કારેલીબાગ સ્થિત ખાસવાડી સ્મશાનગૃહ સુધી પહોંચી હતી. માર્ગમાં ઠેર-ઠેર સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ પોતાના કામકાજ બંધ રાખીને પુષ્પવર્ષા દ્વારા યોગેશભાઈ પટેલને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. ખાસવાડી સ્મશાનગૃહ ખાતે ધાર્મિક વિધિ-વિધાન સાથે તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.
જનસેવાને પોતાનો જીવનધર્મ માનનારા યોગેશભાઈ પટેલના અવસાનથી વડોદરા શહેરના રાજકારણમાં એક મોટી ખાલીપો સર્જાયો છે. તેમની વિદાયથી સમગ્ર શહેરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.