Vadodara

તબીબોની સુરક્ષાના આંદોલન વચ્ચે SSG હોસ્પિટલમાં CCTV કેમેરાને સર્જરીની જરૂર

Published

on

કલકત્તામાં મહિલા તબિબ પર દુષ્કર્મ બાદ હત્યાના મામલે દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. તબિબોની સુરક્ષાને લઇને પગલાં ભરવા સહિતના મુદ્દે દેશભરમાં અવાજ ઉઠી રહી છે. ત્યારે મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં સુરક્ષાના કારણોસર લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરાની અવદશા જોવા મળી રહી છે. કેમેરાનો લેન્સ કોઇને કામ ન લાગી શકે તે દિશામાં રેકોર્ડિંગ કરતો હોય તેમ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ આવે છે. હવે આ મામલે એસએસજી હોસ્પિટલનું તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યું.

Advertisement

કલકત્તાની ઘટના બાદ દેશભરમાં તબિબોની સુરક્ષા સહિતના મુદ્દાઓને લઇને અવાજ ઉઠી રહ્યા છે. આ પ્રકારના પ્રશ્નો સાથે આજે વડોદરાની સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ અને જીએમઇઆરએસ હોસ્પિટલમાં પણ તબિબો હડતાલમાં જોડાયા છે. આ વચ્ચે એસએસજી હોસ્પિટલના તંત્રની ઘોર લાપરવાહી સામે આવવા પામી છે. હોસ્પિટલના બાળરોગ વિભાગ પાસે લાગેલા સીસીટીવી કેમેરાનો લેન્સ ઝુકી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. જરૂરીયાતના સમયે આ સીસીટીવી કેમેરો કામ લાગશે કે કેમ તેને લઇને અનેક પ્રશ્નો લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા છે.

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં અનેક રાજ્યોમાંથી દર્દીઓ સારવાર અર્થે આવે છે. ત્યારે દર્દીઓ અને તબિબો તથા અન્ય મેડીકલ સ્ટાફની સુરક્ષાને ધ્યાને રાખીને સીસીટીવી કેમેરા તો લગાડવામાં આવ્યા છે. પરંતુ તેના એંગલ કોઇ ઘટના સમયે કામ ન લાગે તેવું સપાટી પર આવવા પામ્યું છે. ઝુકી ગયેલા કેમેરા નામ માત્ર માટે લગાડવામાં આવ્યા હોવાનું, અને લગાડ્યા બાદ તેની દેખરેખ યોગ્ય રીતે થતી ન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવવા પામ્યું છે. દેશભરમાં તબિબોની સુરક્ષાનો મુદ્દો વેગ પકડી રહ્યો હોય ત્યારે એસએસજી હોસ્પિટલના તંત્ર દ્વારા આ પ્રકારના મુદ્દાઓને સત્વરે નિકાલ લાવીને તબિબોમાં સુરક્ષાનો વિશ્વાસ પ્રસ્થાપિત કરવાિ માટે પ્રયત્નો કરવા જોઇએ.

Advertisement

Trending

Exit mobile version