Vadodara

વડોદરા ચૂંટણીનો બહિષ્કાર: “સુવિધા નહીં તો મત નહીં!” – વોર્ડ-11 ના વિનાયક હાઉસિંગના 360 પરિવારોનો નેતાઓ સામે મોરચો

Published

on

  • ચૂંટણી બહિષ્કારનું એલાન: વર્ષોથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત વિનાયક હાઉસિંગના 360 પરિવારોએ નેતાઓના પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ.
  • જર્જરિત આવાસ, મોતનો ખતરો: પોપડા ખરી પડતા અને તિરાડો ધરાવતા મકાનોમાં જીવના જોખમે રહેતા રહીશો; તંત્ર મૂક પ્રેક્ષક.
  • નેતાઓ પર ફિટકાર: “અમારા કોર્પોરેટર કોણ છે એ જ ખબર નથી”; ચૂંટણી સમયે આવતા નેતાઓને હવે ‘નો એન્ટ્રી’.
  • વિકાસના દાવા પોકળ: 30 વર્ષથી એક જ શાસન છતાં ગંદકીનું સામ્રાજ્ય; વેરો ભરતા નાગરિકોની તંત્ર સામે તીખી પ્રતિક્રિયા.

વડોદરા: એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે અને પક્ષો વિકાસના બણગાં ફૂંકી રહ્યા છે, ત્યારે બીજી તરફ વડોદરાના વોર્ડ નંબર 11 માં આવેલ વિનાયક હાઉસિંગ (વુડાના મકાનો) ના રહીશોએ લોકશાહીના પર્વનો બહિષ્કાર કરવાનું એલાન આપીને શાસકોની ઊંઘ હરામ કરી દીધી છે.

⚠️જોખમી આવાસ અને તંત્રની ઉદાસીનતા:

અહીંની ઇમારતો અત્યંત જર્જરિત હાલતમાં છે. મકાનોના પોપડા ખરી રહ્યા છે અને દીવાલોમાં મોટી તિરાડો જોવા મળી રહી છે. રહીશો જીવના જોખમે રહેવા મજબૂર છે. વારંવાર વોર્ડ ઓફિસમાં રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. લોકોનો આક્રોશ એ વાતનો છે કે, જે નેતાઓને તેઓએ મત આપીને ચૂંટ્યા હતા, તે ચૂંટણી બાદ ક્યારેય વિસ્તારની મુલાકાતે ફરક્યા પણ નથી.

🧐“વિકાસ કાગળ પર, ગંદકી જમીન પર”:

રહીશોનો આક્ષેપ છે કે, ‘સ્વચ્છ ભારત – સ્વચ્છ વડોદરા’ના માત્ર હોર્ડિંગ્સ જ જોવા મળે છે, વાસ્તવિકતામાં અહીં ગંદકીનું સામ્રાજ્ય છે. 30 વર્ષથી એક જ પક્ષનું શાસન હોવા છતાં પ્રાથમિક સુવિધાઓના નામે શૂન્યતા છે. વેરો ભરતા નાગરિકો હવે બદલાવની અપેક્ષા રાખી રહ્યા છે.

🚫મતદાન બહિષ્કારનો કડક નિર્ણય:

હવે વચનોની ‘લોલીપોપ’ થી કંટાળેલા 360 પરિવારોએ એકસૂરે નક્કી કર્યું છે કે જ્યાં સુધી પ્રાથમિક સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી કોઈને પણ વોટ આપવો નહીં. સોસાયટીના રહીશોએ ચૂંટણી પ્રચાર માટે આવતા નેતાઓ માટે પ્રવેશદ્વાર બંધ કરી દીધા છે. જો સમસ્યાઓનો ઉકેલ નહીં આવે, તો આ વિસ્તારમાં મતદાનનો આંકડો શૂન્ય રહેવાની પૂરેપૂરી શક્યતા છે.

🫵વિકાસના દાવાઓ અને જમીની વાસ્તવિકતા વચ્ચેનો આ તફાવત વડોદરાની ચૂંટણીમાં નવો વળાંક લાવી શકે છે. શું સત્તાધીશો હવે જાગશે?

Trending

Exit mobile version