વડોદરાના રાવપુરા વિધાનસભા વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. વાડી વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ડ્રેનેજની ગંદકીથી પરેશાન એક વૃદ્ધે આખરે તંત્રને જગાડવા માટે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. 24 કલાકમાં નિકાલ નહીં આવે તો ખંડેરાવ માર્કેટ અથવા વોર્ડ ઓફિસે જઈ જીવ ટૂંકાવવાની વાત કરતા જ પાલિકાના અધિકારીઓના જીવ અધ્ધર થઈ ગયા છે.
📍વિગતવાર અહેવાલ:
- ગંદકીનું સામ્રાજ્ય: રાવપુરા વિધાનસભાના વોર્ડ નંબર 14માં આવતા વાડી વિસ્તારના મારૂ ફળિયામાં છેલ્લા બે સપ્તાહથી ડ્રેનેજની લાઈનો ઉભરાઈ રહી છે. સ્થાનિકોના ઘર આંગણે ગંદા પાણી ફરી વળ્યા છે.
- રોગચાળાનો ભય: સતત ફેલાતી દુર્ગંધ અને ગંદા પાણીને કારણે સ્થાનિકોમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગચાળાનો ફેલાવો થવાની ભીતિ સેવાઈ રહી છે. લોકોનું પોતાના જ ઘરમાં રહેવું હવે મુશ્કેલ બન્યું છે.
- તંત્રની નિષ્ફળતા: સ્થાનિક રહીશ ભરતભાઈએ અનેકવાર વોર્ડ ઓફિસે ફરિયાદ કરી હતી. કર્મચારીઓ આવ્યા ખરા, પણ સફાઈ માટેના સળિયા તૂટી જતાં કામ અધૂરું મૂકીને જતા રહ્યા. જ્યારે ભરતભાઈ રૂબરૂ ઓફિસે ગયા, ત્યારે ‘સાહેબ હાજર નથી’ તેવો જવાબ મળતા તેમનો પિત્તો ગયો હતો.
🧐વૃદ્ધનો આક્રોશ:
“કામ તમારે કરવાનું છે કે ઓફિસરે?” – આ સવાલ સાથે ભરતભાઈએ અલ્ટીમેટમ આપ્યું છે કે જો આગામી 24 કલાકમાં આ નરક જેવી સ્થિતિમાંથી મુક્તિ નહીં મળે, તો તેઓ પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ કે વોર્ડ ઓફિસ બહાર આત્મવિલોપન કરશે.
વૃદ્ધની આ આકરી ચીમકી બાદ ઊંઘતું વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું છે. જે કામ 15 દિવસથી અટવાયેલું હતું, તેના માટે હવે ઉતાવળે હિલચાલ શરૂ કરવામાં આવી છે.
🫵શું વડોદરામાં સામાન્ય સુવિધા માટે પણ નાગરિકોએ જીવ આપવાની ચીમકી આપવી પડશે? તે હવે એક મોટો સવાલ છે.