વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ વડોદરાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) ને ચૂંટણી પહેલા જ મોટો આંચકો લાગ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગણાતા રાજ્ય પ્રવક્તા શીતલ ઉપાધ્યાય અને તેમની સાથેના 40થી વધુ અગ્રણી કાર્યકરોએ ભાજપનો સાથ પકડ્યો છે.
❓કોણ-કોણ ભાજપમાં જોડાયું?
આજે વડોદરામાં શહેર ભાજપ પ્રમુખ ડો. જય પ્રકાશ સોનીની હાજરીમાં આમ આદમી પાર્ટીના અનેક મોટા માથાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જેમાં મુખ્યત્વે:
શીતલ ઉપાધ્યાય – રાજ્ય પ્રવક્તા, આપ
સંદીપ રાવલ – સોશિયલ મીડિયા ઇન્ચાર્જ, આપ
દર્શન રાવલ – પૂર્વ યુવા મોરચા પ્રમુખ, આપ
જીગ્નેશ પટેલ – પૂર્વ પ્રમુખ, આપ
વિઠલ આહીરે – શહેર ઉપ પ્રમુખ, આપ સહિતના કુલ 40થી વધુ અગ્રણી કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
🧐‘ભૂલ સુધારી’ – શીતલ ઉપાધ્યાયની કબૂલાત:
ભાજપમાં જોડાયા બાદ આપના પૂર્વ પ્રવક્તા શીતલ ઉપાધ્યાયે સ્પષ્ટ કર્યું હતું કે તેમનો પરિવાર મૂળભૂત રીતે ભાજપ સાથે જોડાયેલો હતો. તેમણે જણાવ્યું કે, “જે તે સમયે મારાથી ભૂલ થઈ હતી, હવે મેં મારી ઘર વાપસી કરી છે. આમ આદમી પાર્ટીએ મને જે અનુભવ આપ્યો છે તે બદલ હું તેમનો આભારી છું, પરંતુ હવે હું ભાજપની વિચારધારા સાથે આગળ વધીશ. મેં ભાજપમાં કોઈ ટિકિટની માંગણી કરી નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય નહીં કરું.”
👉ભાજપ પ્રમુખનું સ્વાગત:
શહેર ભાજપ પ્રમુખ ડો. જય પ્રકાશ સોનીએ તમામ નવા જોડાયેલા સભ્યોને આવકારતા જણાવ્યું હતું કે, ભાજપની વિકાસની નીતિઓથી પ્રભાવિત થઈને લોકો પક્ષ સાથે જોડાઈ રહ્યા છે, જે ચૂંટણીમાં ભાજપને વધુ મજબૂત બનાવશે.
🫵ચૂંટણી પહેલાં ‘આપ’ માંથી થયેલા આ સામૂહિક પક્ષપલટાથી વડોદરાના રાજકીય સમીકરણો બદલાયા છે. શું આ નેતાઓની ઘર વાપસી ભાજપને આગામી ચૂંટણીમાં ફાયદો કરાવશે?