VADODARA CITY
હર ઘર તિરંગા: સામાજીક અગ્રણી ભારતીબેન ભાણવડિયાએ રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યુ

દેશ ભરમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે તારીખ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનું આહવાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. જેને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પણ ઠેર ઠેર ઉજવણી માટે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
સાથે સાથે સામાજીક સંસ્થાઓ અને અગ્રણીઓ પણ આ અભિયાનને સફળ કરવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે આજે શહેર જીલ્લાના સામાજીક સેવાભાવી અગ્રણી ભારતીબેન ભાણવાડિયા દ્વારા શહેર જીલ્લાના વિવિધ વિસ્તારોમાં 100 થી વધુ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું.
VADODARA CITY
03 લાખ રાષ્ટ્રધ્વજ માટે કોર્પોરેશન 04 લાખ લાકડીઓ ખરીદશે

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો તેમજ રાષ્ટ્રધ્વજ સહિતની સાધન સામગ્રી ખરીદવા માટે તમામ પ્રકારનો ખર્ચ વગર બાધે કરવા મ્યુનિસિપલ કમિશનરે સ્થાયી સમિતિની મંજૂરી માંગી છે.
આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વડોદરા કોર્પોરેશન દ્વારા તમામ ઘરો, વેપાર ધંધાના સ્થળો, ધાર્મિક સ્થાનો સહિતના સ્થળોએ 13 થી 15 ઓગસ્ટ દરમિયાન તિરંગો ફરકાવવા માટે અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વડોદરા કોર્પોરેશનને 03 લાખ રાષ્ટ્રધ્વજની ફાળવણી પણ કરવામાં આવી છે. ત્યારે રાષ્ટ્રધ્વજ માટે લાકડીની જરૂરિયાત હોય વડોદરા કોર્પોરેશન દ્વારા સ્થાનિક વેપારી આશાભાઈ બાપૂભાઈ પાસેથી પ્રતિ સ્ટીક રૂ. 04 લેખે 04 લાખ સ્ટીકસ ખરીદવાનું નક્કી કર્યું છે.
જે માટે 16 લાખ પૈકી 50 ટકા એડવાન્સ રકમ ચૂકવવાની થાય છે. આ ઉપરાંત રાષ્ટ્રધ્વજના વેચાણ માટે સ્ટોલ, સ્ટેજ, ફરાસખાના ,ફોટોગ્રાફી, પાણીની વ્યવસ્થા ઉભી કરવા માટે પણ નાણાની જરૂરિયાત ઉદ્ભવશે. જેથી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આનુષગિક તમામ ખર્ચ અર્થેની મંજૂરી મ્યુનિસિપલ કમિશનર સાલીની અગ્રવાલને આપવા અંગેનું કામ સ્થાયી સમિતિ સમક્ષ રજુ થયું છે. જે અંગેનો ખર્ચ સંસ્કાર કાર્યક્રમના બજેટ 3.20 કરોડમાંથી થશે.